Gujarat

કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસ મંત્રી શ્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની પ્રેરક ઉપસ્થિતિમાં તમિલ ભગિનીઓ સાથે વાર્તાલાપ યોજાયો

ગીર સોમનાથ
સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત ખાસ તમિલ ભગિનીઓ સાથે નેતાઓનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ તમિલનાડુથી આવેલ ૨૮૨ સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ સાથે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસના મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડીએ ભારત સરકાર, ગુજરાત સરકાર અને સૌરાષ્ટ્રની જનતાવતી તમિલ બાંધવોનું સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચેની શિવભકિતનો અનોખો સંગમ છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ અને તમિલનાડુના રામેશ્વવરમ સાથે સદીઓ જૂની પરંપરા, સંસ્કૃતિ, કલા, સાહિત્ય, હસ્તકલાનો પણ આ સંગમ છે. આપણી સૌની ભાષા ભલે જુદી છે પરંતુ આ કાર્યક્રમ વિવિધતામાં એકતાનો સંદેશ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના, ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અભિયાનની કલ્પનાનો અનોખો સંગમ છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ સોમનાથ પર થયેલા આક્રમણના ઈતિહાસને અને વીર હમીરજીના બલિદાનને પણ યાદ કર્યુ હતું, સાથે જ સોમનાથ મંદિરના નવનિર્માણ માટે ભગીરથ કાર્યકરનારા મહારાણી અહલ્યાબાઈ હોલકર, રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ, કનૈયાલાલ મુનશીના યોગદાનને પણ તેમણે બિરદાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, માધવપુરના મેળા દ્વારા ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે સૌરાષ્ટ્રનો સંગમ હોય કે પછી કાશિ તમિલ સંગમ, કાશ્મીર તમિલ સંગમ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા અમૃતકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની એકતાને દેશની વિભિન્ન સંસ્કૃતિકના એકીકરણનો સંદેશો આપી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના ગુજરાત સાથેના ચાલીસ વર્ષ જૂના સંબંધો અને આતિથ્યને પણ વાગોળ્યું હતું.પરિસંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સૌરાષ્ટ્રીયન તમિલ ભગિનીઓને આવકારી હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલ આઝાદીનો અમૃતકાળ ચાલુ છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદીના ૧૦૦ વર્ષે આપણું ભારત ફરી સર્વ શ્રેષ્ઠ બને તેના માટે વિવિધ વિભાગોમાં નવતર પ્રયોગો સાથે કામ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સર્વશ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સાંસ્કૃતિક વિરાસતને સાચવવા અને નાગરિક તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવવાની બે બાબતો પર ભાર મૂક્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમએ આપણી સાંસ્કૃતિક વિરાસતને સાચવી દેશની એકતાને વધુ સુદ્રઢ કરવાનો સેતુ બન્યો છે. મંત્રીએ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની ભાગીદારી વિશે જણાવી કહ્યું હતું કે, અનેક વિવિંગ સેન્ટર અને હેન્ડીક્રાફ્ટમાં મહિલાઓનું ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે. માત્ર ૪૦ દિવસમાં ૪૦૦ કરોડથી વધુની નિકાસ સાથે હેન્ડલુમ -ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ખૂબ જ ઊંચો છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્કીમ અંતર્ગત દરેક વિસ્તારની ખાસ બનાવટોને જીઆઇટેગ દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે. તામિલનાડુની કાંજીવરમ સાડીને પણ જી-આઇ દ્રારા સુરક્ષિત કરી સરકાર દ્વારા જી.આઇ ટેક થકી અન્ય દેશોના વ્યાપારમાં સ્થાનિક વસ્તુઓની ભાગીદારી વધારવામાં આવી છે. મહિલાઓના કલ્યાણની સ્કીમ અંતર્ગત અનેક હાથ વણાટકારોની આ ડબલ એન્જિન સરકારના સમયમાં પ્રગતિ થઈ છે. રેલવે રાજ્યમંત્રીએ આઈ.આર.સી.ટી.સી.ના માધ્યમથી પ્રવાસીઓને સ્ટેશન અને ટ્રેનના વિકાસથી મળતી સુવિધાઓ વિષે જણાવી માહિતી આપી હતી કે, ભારતમાં ૭૫૦ સ્ટેશન પર હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટના સ્ટોલ કાર્યરત છે જેમાં ચેન્નાઈ સ્ટેશન પરથી સૌથી વધુ વેચાણ સાડીનું થાય છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ દ્વારા સોમનાથ અને તમિલનાડુના સાંસ્કૃતિક- કળા- વારસાના મેળાપની શરૂઆત થઈ છે. જે આગામી દિવસોમાં હજુ પણ આગળ વધી સંપૂર્ણ સંગમમાં પરિવર્તિત થશે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ ભાઈ રાજપૂતે તમિલ બાંધવોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પનાથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સદીઓ બાદ બે પુરાતન સંસ્કૃતિઓના સંબંધોનું મિલન થયું છે. આ કાર્યક્રમ માટે તમિલનાડુમાં પણ અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. રાજ્ય સરકારના આઠ મંત્રીઓએ તમિલનાડુમાં જઈને બાંધવોને આમંત્રણ પાઠવ્યું હતું. એક દિવસ પેહલા રાજકોટમાં તમિલનાડુના વેપાર જગતા અને હસ્તકલા જગતાના પ્રતિનિધિઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. તેમને ઉદ્યોગો સહિતની સબ્સિડીના મુદ્દે કેવી રીતે જાેડી શકાય તેના વિશે પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમથી ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સંબંધો મજબૂત થશે. તમિલ ભવનનું નિર્માણ, રલેવેની કનેક્ટિવિટી, કાપડ ઉદ્યોગ માટે સબ્સિડી, હીરા ઉદ્યોગ, કૌશલ વિકાસ સહિતના મુદ્દે તમિલનાડુનાં પ્રતિનિધિઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમના સફળ આયોજન માટે સતત માર્ગદર્શન આપ્યું છે. આજે તમિલાડુના ભાઈઓ બહેનો પણ આ કાર્યક્રમમાં આવીને ખૂબ ખુશ થયા છે. પરસ્પર તાલમેલથી આ સંગમ દ્વારા બે પ્રાંત વચ્ચેના સંબંધો મજબૂત થશે. કાર્યક્રમમાં નેતાઓ અને લોકો વચ્ચે ઓપન સેશન યોજવામાં આવ્યું હતું તેમજ સૌરાષ્ટ્ર તમિલ સમુદાય દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ગીરીશભાઈ ભીમાણીએ તમિલ ભાષામાં સૌનું અભિવાદન કરી સર્વે મંત્રીઓનો પરિચય આપ્યો હતો. આ તકે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર લલિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *