ભારત સરકારના કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીશ્રીઓ સાથે વીડિયો
કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી જેમાં ગુજરાતમાંથી કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ જોડાયા હતા.
કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દ્વારા ખેડૂતોના
હિતમાં લેવાયેલા વિવિધ ચાર નિર્ણયોની કેન્દ્રીય ઉર્વરક મંત્રીશ્રી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આપી હતી. આ ચાર
નિર્ણયોમાં કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે રૂ. ૩.૬૮ લાખ કરોડની યુરીયા સબસીડી મંજુર કરવામા
આવી છે. પી.એમ. પ્રણામ યોજના અંતર્ગત જે રાજ્ય સબસીડાઈઝ ખાતરનો વપરાશ ઘટાડશે તે રાજ્યને સબસીડીની થતી
બચતના ૫૦% રકમ કેન્દ્ર સરકાર દ્વારા આપવામા આવશે. ગોબરધન યોજના અંતર્ગત ઉત્પન્ન કરેલ બાયોગેસ અને કમ્પ્રેસ્ડ
બાયોગેસ પ્લાંટમાંથી બનાવેલ ફર્મેંન્ટેડ ઓર્ગેનીક મેન્યુર ખાતરને પ્રોત્સાહન આપવા માટે માર્કેટ ડેવલોપમેન્ટ આસીસ્ટન્ટ ઘટક
તરીકે રૂ. ૧૫૦૦/મે.ટન. સબસીડી આપવામાં આવશે.
આ ઉપરાંત સલ્ફર કોટેડ યુરીયાને યુરીયા ગોલ્ડ નામથી લોંચ કરવામાં આવ્યું છે. જેમા ૩૭% નાઈટ્રોજન યુરીયા ઉપર ૧૭%
સલ્ફર તત્વનું કોટીંગ કરાયું છે જેનાથી યુરીયાનો કાર્યક્ષમ ઉપયોગ થશે તેમ, જણાવી મંત્રીશ્રી રાઘવજી પટેલે ભારત સરકારના
નિર્ણયને આવકારીને ગુજરાતમાં તેના ઝડપી અમલીકરણ માટે કટીબદ્ધતા દર્શાવી હતી.


