રાજકોટ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત જુનાગઢ, જામનગર, અમરેલી સહિતના જિલ્લામાં મેધરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેના કારણે અનેક નદી-નાળાઓ છલકાયા છે સાથે સાથે અનેક ડેમોમાં નવા નીરની આવક થઇ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, જેતપુર અને ઉપલેટામાં જાેરદાર વરસાદથી સ્થાનિક ડેમો અને જળાશયો છલકાયા છે.જુનાગઢ જિલ્લાનો ઉબેણ ડેમ ઓવરફલો થતાં જેતપુર પંથકની નદીઓમાં પૂર આવ્યા છે. જેતપુરના બાવા પીપળીયા ગામમાં પસાર થતી ઉબેણ નદીમાં પૂર આવવાને કારણે કોઝ વે પરથી પાણી પસાર થઈ રહ્યું છે. નદીમાં ઘોડાપૂર આવવાથી ઉબેણ નદીમાં અનેક પશુઓ તણાયા છે. નદીના પૂરમાં ૨૫થી વધુ ગાયો તણાઈ હોવાની ઘટના સામે આવી છે. બાવા પીપળિયા ગામના પાદરમાં કમર સુધીના પાણી ભરાયા છે.રાજકોટ જિલ્લાના સોડવદર ડેમમાં ૧૨.૧૪ ફૂટ, મોજ ડેમમાં ૪.૭૯ ફૂટ , છાપરવાડી ડેમમાં ૪.૨૭ ફૂટ, ફોફળ ડેમમાં ૬.૫૦ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૨.૨૦ ફૂટ, આજી-૩ ડેમમાં ૧.૪૭ ફૂટ, ડોંડી ડેમ ૦.૯૮ ફૂટ, વેરી ડેમમાં ૦.૪૯ ફૂટ તો ન્યારી ૧ ડેમમાં ૦.૧૬ ફૂટ પાણીની આવક થઈ છે.ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર દ્વારા જામજાેધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે આવેલ ફુલઝર ડેમ નિર્ધારિત સપાટી સુધી ભરાઈ ગયો હોવાથી ડેમના બે દરવાજા ૧.૮ ફુટ ખોલવામાં આવ્યા છે. આથી ડેમ હેઠળ આવતા ઉપલેટા તાલુકાના હરિયાસણ, રબારીકા, ચરેલીયા, રાજપરા અને ખારચીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સાકરોલી ડેમ રાત્રે ૧૧ વાગ્યે ૮૦% ભરાઈ ગયો હોવાથી જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા, રેશમડી ગાલોળ સહિતના ગામોના રહેવાસીઓને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.


