સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સાવધાની એ જ ઉપાય.. અને આ રોગના ભરડામાં આવેલ દર્દીઓએ યોગ્ય તબીબી સારવાર લેવી હિતાવહ. આડેધડ ઉપચાર નુકસાનકારક સાબિત થઈ શકે છે. આંખ એટલે શરીરનું એકદમ નાજુક અંગ. પ્રકાશની પહેચાન માટે આવશ્યક ઉર્જા.
———————————————————————
આજના ડીઝીટલ હાઈટેક યુગમાં આંખ એ ખરેખર ખૂબ જ આવશ્યક અંગ ગણાય.. આંખ વિના સમગ્ર જીવનમાં અંધકાર.
———————————————————————
હમણાં હમણાં અમરેલી જિલ્લામાં આંખના રોગે ભરડો લીધો છે. ટૂંકમાં કહીએ તો કંન્ઝ્કટીવાઈટીસ નામનો આંખને લગતો રોગ સમગ્ર અમરેલી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યો છે ત્યારે આમ તો જો કે વર્તમાનપત્રો અને સોશિયલ મીડિયામાં પણ તેનાથી બચવાના અને સાવચેતીના ઉપાયો પણ દર્શાવવામાં આવી રહ્યા છે છતાં પણ લોકોની બેદરકારી કે અજ્ઞાનતાને કારણે આ રોગે ભારે માથું ઉંચક્યુ છે.. ખાસકરીને આ રોગનાં સકંજામાં આવી ગયા હોય તેવા દર્દીઓએ યોગ્ય તબીબી સારવાર લેવી હિતાવહ છે. આમ આડેધડ આંખનાં ટીપાંનો ઉપયોગ પણ આ રોગને ફરી ઊથલો મારવાની શક્યતાઓને નિમંત્રણ આપનારો પણ બની શકે છે. આ સંદર્ભે સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે આ રોગ ખૂબ ચેપી છે. અને આ રોગની સંપૂર્ણ તબીબી સારવાર જરૂરી છે. ઘણાં દર્દીઓ મેડિકલ સ્ટોરમાંથી આંખના ટીપાં ખરીદીને તેનો ઉપચાર કરવા માટે પ્રયાસ કરે છે. આ સંદર્ભે ઘણી વખત આંખનો ઉપરી ભાગ જંતુ રહિત થાય છે પરંતુ આંખના અંદરના ભાગમાં ચેપ હજુ હોય છે એટલે બેદરકાર થઈને આંખ સ્વસ્થ થઈ ગઈ એમ સમજીને સારવાર અટકાવી દે છે એવા ઘણા દર્દીઓમાં ફરી આંખના આ રોગે ઊથલો મારેલો પણ જોવા મળે છે. આંખનાં એન્ટિબયોટિક ટીપાં સાથે તબીબની સલાહ મુજબ જરૂરી ટેબલેટ પણ લેવી જોઈએ.. જો આવશ્યક હોય તો બાકી તમામ વિગતો અને સાવધાની રાખવાથી પરીવારમાં આ રોગને ફેલાતો અટકાવી શકાય છે.
એટલે જેમને પણ આ આંખનો રોગ થયો હોય તેમણે હળવાશથી ન લેતાં યોગ્ય તબીબી તપાસ પછી તેની સંપૂર્ણ તબીબી સલાહ મુજબ સારવાર કરાવવી અને સાવધાની રાખવી જરૂરી છે. આમ પણ આંખ એ શરીરનું ખૂબ જ નાજુક અને મહત્ત્વનું અંગ ગણાય. આંખ વગરની જિંદગીની કલ્પના જ ધ્રૂજાવી દે છે. જીવનમાં વ્યાપ્ત અંધકારને ખાળવા માટે પ્રકાશની જરૂર પડે છે અને પ્રકાશની સમજણ સારી અને સ્વસ્થ આંખ જ આપી શકે છે. એટલે આંખ એ જીવનરત્ન છે.
