વિધિએ આજ સુધી કુલ ૩૫૭ શહિદના પરિવારોને આશ્વાસન પત્રો તેમજ રૂ. ૨૦,૮૨,૦૦૦ ની આર્થિક સહાય આપી
***
આ પ્રેરણારૂપ કામગીરી માટે વિધિને મુખ્યમંત્રી એવોર્ડ ૨૦૧૬ અને ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ ૨૦૨૧ દ્વારા સન્માનિત કરવામાં આવી છે
***
રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ સહિતના કુલ ૧૬૩ શહિદના પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી
***
આઝાદીના અમૃતકાળ દરમિયાન રાષ્ટ્રના વીર શહીદોને વિશેષ રીતે શ્રદ્ધાંજલી આપવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશમાં ૯ થી ૧૫ ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ સુધીના અઠવાડિયામાં “મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન” અંતર્ગત દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના નામવાળી તખ્તી – શિલાફલકમ સ્થાપિત કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે. તથા સ્વાતંત્ર્ય સેનાની પરિવારને આમંત્રિત કરી તેમનું સ્થાનિક પરંપરા અને રીવાજો મુજબ સન્માન કરવામાં આવશે.
દેશના વીરોને વંદન કરવાનું આ રાષ્ટ્રીય અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદની દિકરી વિધિ જાદવનો એક વિશિષ્ટ ઉલ્લેખ કરવો રહ્યો. દેશહિત માટે બલિદાન આપનાર શહીદોના પરિવારોને આર્થિક મદદ આપવા ઉપરાંત લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને એક દીકરી તરીકે હૂંફ આપવાનું કાર્ય વિધિ કરે છે.
વિધિએ આજ સુધી કુલ ૩૫૭ શહિદના પરિવારોને આશ્વાસન પત્રો તેમજ રૂ. ૨૦,૮૨,૦૦૦ ની આર્થિક સહાય આપી છે. જેમાં તેણે રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, જમ્મુ સહિતના કુલ ૧૬૩ શહિદના પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે.
“મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન” અંતર્ગત સંદેશો આપતા વિધિ જણાવે છે કે શહીદો સરહદો પર જીવના જોખમે રક્ષણ આપી પોતાની જવાબદારીઓનું નિષ્ઠાપૂર્વક વહન કરતા હોય છે. ત્યારે તેમનું સન્માન કરવું એ આ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના પરિવારો માટે આપણે સૌ યથાશક્તિ મદદ કરીએ તો તે સહાય પણ દેશ રક્ષણના ઉમદા કાર્યમાં એક યોગદાન જ ગણાય.
પોલિટિકલ સાયન્સમાં માસ્ટર્સ કરનાર વિધિ શહીદોને મદદ ઉપરાંત દેશ વિદેશની સંસ્થાઓ અને સરકારો સાથે પત્રવ્યવહાર કરી વૈશ્વિક શાંતિની અપીલ પણ કરે છે. વિધિને તેની પ્રેરણારૂપ કામગીરી માટે મુખ્યમંત્રી એવોર્ડ ૨૦૧૬ અને ગુજરાત રાજ્ય યુવા એવોર્ડ ૨૦૨૧ મળેલ છે.
નોંધનીય છે કે “મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન” અંતર્ગત સન્માન કરનાર વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મીઓ, રાજ્ય પોલીસ દળ, સી.આર.પી.એફ.ના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


