પત્રકાર જગતે એક શ્રેષ્ઠ, સંનિષ્ઠ અને જાંબાઝ પત્રકાર ગુમાવ્યો.. એની ખોટ તો સદાય રહેશે. પ્રિન્ટથી માંડીને ઈલેક્ટ્રોનિક મીડિયા પર ખૂબ સારી પક્કડ ધરાવતાં પત્રકારે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી. પત્રકાર જગતમાં તેની ખોટ સદાય રહેશે.
— બિપીનભાઈ પાંધી
———————————————————————
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું દુઃખદ અવસાન થતાં ગુજરાત પત્રકાર જગતે એક સંનિષ્ઠ કર્મઠ, અને નિડર પત્રકાર ગુમાવ્યો.
દિલીપભાઈ ગોહિલની પત્રકાર જગતમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી દ્વારા લોકતંત્રના સ્તંભ સમા પત્રકાર જગતમાં અનેક મુદ્દાઓને ઉજાગર કર્યાં. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ (ઉમર ૬૦) નું તા.૨૭ જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતાં અવસાન થયું હતું. થોડા દિવસ પહેલાં વાયરલ ઇન્ફેક્શન થયું હતું. રાજકોટમાં એમને તાવ આવેલો બાદમાં વતન રાજુલામાં તબિયત વધુ બગડતા ભાવનગર બજરંગદાસ
હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ તબિયત બગડી ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ઘનિષ્ઠ સારવાર પછી તબિયત સ્થિર થઈ પણ ૨૭ની રાત્રે તબિયતે ઉથલો માર્યો અને.મોડી રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. દિલીપભાઈ ગોહિલના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન, પુત્ર કુણાલ, પુત્રી કુંજ છે. દિલીપભાઈની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી રહી. પ્રિન્ટથી માંડી ડીજીટલ મીડિયા સુધી એમણે કામ કર્યું. બહુ સારા અનુવાદક હતા. કવિ પણ. રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં વિવિધ અખબારો, સામાયિક, ટીવી ચેનલ, વેબસાઈટ માટે પણ કામ કર્યું. એમની નીચે ઘણા બધા પત્રકારોનું ઘડતર થયું. એ ટેકનોલોજીના પણ અચ્છા જાણકાર હતા. શ્રેષ્ઠ સંપાદક ને ઉમદા માનવી હતા. રાજકીય સમીક્ષક તરીકે એમની નોખી ભાત રહી. કર્મઠ ને નિષ્ઠાવાન, નિડર પત્રકારની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને વણપુરાય તેવી ખોટ પડી છે.

