ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ ૩૦ એપ્રિલે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્માને તે ટીમનો કેપ્ટન અને હાદિર્કને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને ઋષભ પંત સહિત ઘણા પ્રખ્યાત ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમાંથી એક નામ શિવમ દુબેનું હતું, જેણે આઇપીએલ ૨૦૨૪ની સિઝનમાં ૩૯૬ રન બનાવ્યા હતા.
તેણે આ સિઝનમાં ૩ અડધી સદીની ઇનિંગ્સ પણ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કહ્યું હતું કે દુબેની પસંદગી એ આધાર પર કરવામાં આવી છે કે પાવર હિટિંગ સિવાય તે મધ્ય ઓવરોમાં બોલિંગ પણ કરી શકે છે. પરંતુ ટીમ ઈન્ડિયામાં પસંદ થયા બાદ દુબેનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે.
ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત પહેલા, શિવમ દુબેએ આઈપીએલ ૨૦૨૪માં ૯ મેચ રમીને ૫૮.૩૩ની શાનદાર એવરેજથી ૩૫૦ રન બનાવ્યા હતા. તે પણ સારી વાત હતી કે તે ૧૭૨.૪ના જબરદસ્ત સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો હતો. એવું લાગતું હતું કે દુબે ખરેખર ભારતના મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે. પરંતુ દુબે લીગ તબક્કાની છેલ્લી ૫ મેચમાં નિષ્ફળ સાબિત થયો છે.
શિવમ દુબેએ છેલ્લી ૫ મેચમાં માત્ર ૪૬ રન બનાવ્યા છે, જેમાંથી તેનો સર્વોચ્ચ સ્કોર ૨૧ રન હતો જે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આવ્યો હતો. છેલ્લી ૫ મેચમાં તેની એવરેજ ૫૮.૩ થી ઘટીને ૩૬ પર આવી ગઈ છે. સીએસકેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીતની સખત જરૂર હતી ત્યારે પણ દુબે જવાબદારી નિભાવી શક્યો ન હતો. દુબેએ આરસીબી સામેની મેચમાં ૧૫ બોલ રમ્યા હતા, જેમાં તે માત્ર ૭ રન જ બનાવી શક્યો હતો.
અગાઉ આઈસીસી એ મંજૂરી આપી છે કે ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં સામેલ ટીમો ૨૫ મે સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં શિવમ દુબેનું ખરાબ પ્રદર્શન તેને વર્લ્ડ કપની શરૂઆત પહેલા જ ટીમમાંથી બહાર પણ કરી શકે છે. જો આમ થશે તો સૌથી મોટો સવાલ એ થશે કે તેના સ્થાને કયા ખેલાડીને લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રિંકુ સિંહને વર્લ્ડ કપ માટે ૧૫ ખેલાડીઓમાંથી નહીં, પરંતુ રિઝર્વ ખેલાડીઓમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. રિંકુએ છેલ્લા એક વર્ષમાં ભારત માટે ટી૨૦ મેચમાં ૮૯ની એવરેજથી ૩૫૬ રન બનાવ્યા છે. તેની હાજરી ભારતીય ટીમના મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.

