આણંદ
ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીએ રાજકીય ચક્રવાત શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષોના આગેવાનોને ગ્રામ્ય સ્તરે જનસંપર્ક અને મિલન મુલાકાત વધારવાના આદેશો આપી દીધા છે. ગ્રામ્ય સ્તરે યોજાતી પંચાયત ચૂંટણી પક્ષીય ચિન્હ વગર લડાતી હોય છે. જેથી કોઈપણ પક્ષના કાર્યકર તેના જ પક્ષના કાર્યકર વિરુદ્ધ ઉમેદવારી કરે તો પણ કોઈ જ પક્ષ સંગઠનાત્મક શિસ્ત ભંગ ના પગલાં લઈ શકતું નથી. જેથી સાહસિક કાર્યકરો પક્ષીય આગેવાનોના સૂચનો કે સમજાવટની અવગણના કરી ચૂંટણીમાં ઝંપલાવી જ દેતા હોય છે.
આણંદ જિલ્લાની ૧૯૨ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઇ રાજકીય ગતિવિધિ તેજ બની હતી. આણંદ જિલ્લા ભાજપની ગઈકાલે ગુરૂવારે યોજાયેલી કારોબારી બેઠકમાં જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ગ્રામ પંચાયતો સમરસ થાય તો પોતાના માણસો સચવાય તે માટે નેતાઓ દ્વારા ગ્રામ પંચાયતોને સમરસ કરવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. આચાર સંહિતાના અમલના પગલે હાલમાં જિલ્લામાં કોઇ કાર્યક્રમો નથી. પરંતુ નેતાઓની ગામડાંઓમાં અવર જવર વધી ગઇ છે. આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગ્રામ્ય રાજકારણની બાજી ગોઠવવા લાગી ગયા છે. આગામી વિધાનસભાને પગલે ભાજપ પક્ષ ગ્રામ પંચાયત ચૂંટણીની રણનીતિને લઈને અગ્રેસીવ કામ કરી રહ્યો છે. આણંદ જિલ્લા ભાજપની ગુરૂવારે યોજાયેલી કારોબારી બેઠકમાં જિલ્લા પ્રમુખ અને આગેવાનો દ્વારા મહત્તમ ગ્રામ પંચાયતોને સમરસ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. જાેકે ભાજપના જ અનેક કાર્યકરો સરપંચની ચૂંટણીમાં દાવેદારી કરવા ઈચ્છુક હોઈ પાર્ટીના આગેવાનો માટે મુશ્કેલી સર્જાઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે.
આ અંગે ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ સાથે સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પણ ગ્રામ પંચાયતો સમરસ થાય તે માટે સરકાર દ્વારા ગ્રાન્ટનો બુસ્ટર ડોઝ જાહેર કર્યો છે. જેમાં સરકાર દ્વારા ગ્રાન્ટની રકમમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જે પણ ગ્રામપંચાયતની વસ્તી ૫ હજાર કરતા વધારે હશે તે ગ્રામપંચાયતોને ૮ લાખ કરતા પણ વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ઉપરાંત મહિલા સમરસ ગ્રામ પંચાયતને સરકાર દ્વારા ૧૩ લાખ સુધીની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરાયેલી છે. ગ્રામ પંચાયતો સમરસ બને તો ગામમાં ચૂંટણીને લઈ ઉભી થતી વેરઝેર અને ઝગડાની પરિસ્થિતિ ડામી શકાય અને સામાજિક અને કોમી એકતાનું વતાવરણ નિર્માણ કરી શકાય. ઉપરાંત તેઓ તેમના આગેવાન કાર્યકરો સાથે આ અંગે સ્ટ્રેટેજીક આયોજન કરી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું


