મોરબી
દિવસે ને દિવસે મોરબીમાં તસ્કરો વધુ સક્રિય થયા હોય તેવા બનાવો જાેવા મળી રહ્યા છે. મોરબીના જેતપર પાસે આવેલી જસમતગઢ પ્રાથમિક શાળામાં તસ્કરોએ ત્રીજી વખત ચોરીને અંજામ આપીને જાણે ખાખી વર્દીને પડકાર ફેંક્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. તસ્કરોએ અગાઉ બે વખત ચોરી કરી હતી, પણ તસ્કરો પોલીસ પકડથી દૂર રહ્યા હોવાથી હવે ત્રીજી વખત ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેતપર પાસે આવેલી જસમતગઢ પ્રા.શાળામાં રાત્રીના સમયે સતત ત્રીજી વખત શાળાના મુખ્ય દરવાજા, રૂમ અને ઓફિસના-કબાટના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. આ અગાઉ એક વર્ષ પહેલાં પણ આ જ રીતે તાળા તોડી શાળાનાં પુસ્તકો, કમ્પ્યુટર વગેરેની ચોરી કરાઈ હતી. તેની સાથે માઈક સિસ્ટમ તથા સ્પીકરની ચોરી પણ થઈ હતી અને ખુબ જ નુકશાન કરવામાં આવ્યું હતું. એ વખતે એફઆઈઆર લખાવી પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ છ મહિના પહેલા પણ આ જ રીતે બધા તાળા તોડી ચોરીને અંજામ અપાયો હતો, ત્યારે પણ પોલીસ ખાતામાં જાણ કરવામાં આવી હતી. જ્યારે ગત રાત્રીએ ફરી પાછા ચોરો ત્રાટક્યા હતા અને ચોરી કરી હતી તેમજ શાળાને નુકસાન પહોચાડ્યું હતું. જેને પગલે જસમતગઢ પ્રાથમિક શાળાના આચાર્ય ભગવાનજી રંગપડીયાએ પોલિસ ફરીયાદ નોંધાવી હતી.
