Gujarat

ઝાલોદ તાલુકામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટનુ 4 ગામોના લોકો દ્વારા ધારાસભ્ય મહેશ ભૂરીયાને મળી વિરોધ રજૂ કરાયો 

ઝાલોદ તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે અને અહીંયા વસતા ગરીબ આદિવાસી પ્રજા ખેતી તેમજ મજૂરી પર પોતાનું ગુજરાન ચલાવે છે. હાલ ઝાલોદ તાલુકામા એરપોર્ટ બનશે તેવી વાતોએ જોર પકડયું છે અને સરકાર દ્વારા બે થી ત્રણ વાર એરપોર્ટ માટે જમીનનુ સર્વે કરવામાં આવી રહેલ છે જેથી એરપોર્ટ બનવાના જ્યાં હાલ એંધાણ છે ત્યાં રહેતો ખેડૂત મુંઝવણમા મુકાયો છે અને ખેતી કરી પરિવારનુ ભરણપોષણ કરતો ખેડૂત મુંઝવણમા મુકાયો છે. પોતાની જમીન જવાના એંધાણ થતાં ત્યાં રહેતા ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર, તાલુકા પંચાયત તેમજ આજરોજ તારીખ 24-11-2024 ના રોજ ઝાલોદ તાલુકાના ધારાસભ્ય મહેશ ભૂરીયાને મળી ખેડૂતોની જમીન ન જાય તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા.
ધારાસભ્ય મહેશ ભૂરીયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવતા તેઓએ આદિવાસી વિસ્તારમાં રહેતા ખેડૂતોની આજીવિકાનૂ સાધન એવી ખેતી માટેની જમીન બચાવવા માટે મુખ્ય મંત્રી, દાહોદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જમીન સંપાદન કરતા અધિકારીઓને મળી આ અંગે ચર્ચા વિચારણા કરી ખેડૂતોને ન્યાય મળે તે માટે રજૂઆત કરશે તેવી હૈયાધારણા આવેલ સરપંચો તેમજ ખેડૂત ભાઈ બહેનોને આપી હતી.
દાહોદ સ્માર્ટ સીટી અંતર્ગત કામગીરી ચાલી રહી છે. જેના ભાગ રૂપે ઈન્દોર,જયપુર અને વડોદરા એરપોર્ટના મધ્ય બિંદુમાં ટાઢાગોળા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવાશે.જેમાં 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. એક તરફ દિલ્હી મુંબઈ કોરીડોરમાં જમીન સંપાદન તેમજ બીજી તરફ કાળી 2 ડેમમાં જમીન સંપાદન અને હવે ડોમેસ્ટિક એરપોર્ટમાં જમીન સંપાદન થશે તો ખેડૂતોના માથે આભ ફાટે તેવી સ્થિતિ છે. જેને લઇને 4 ગામોમાં ડોમેસ્ટિક એરપોર્ટનો વિરોધ કરવામા આવ્યો હતો. ધારાસભ્ય દ્વારા કાયદાકીય રીતે ન્યાય અપાવવા માટે ગ્રામજનોને બાંહેધરી આપી.
પંકજ પંડિત  તાલુકો  : ઝાલોદ  જિલ્લો  : દાહોદ