ધરણીધર તાલુકાના મીઠાવી ચારણ ગામમાં વર્ષોથી પાણી ભરાવા અને ખારાશની ગંભીર સમસ્યા સતત વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. અનેકવાર સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી છે. વર્ષ 2017થી ગામના તળાવમાં પાણી ભરાવાની સમસ્યા વધતી જ રહી છે. ચોમાસા દરમિયાન સ્થિતિ એટલી બગડે છે કે આખું ગામ આશરે એક મહિના સુધી સંપર્ક વિહોણું બની જાય છે.
ગામમાં આવન-જાવનના માર્ગો બંધ થઈ જતા તાત્કાલિક આરોગ્ય સેવા તેમજ જરૂરી સુવિધાઓ મેળવવામાં લોકો મુશ્કેલી અનુભવે છે. તળાવ નજીક આવેલી શાળામાં જતા વિદ્યાર્થીઓને પણ રોજિંદી હાલાકીનો સામનો કરવો પડે છે. બીજી તરફ, ખારા પાણીના કારણે ગામની અંદાજે 50 ટકા ખેતીલાયક જમીન બિનઉપજાઉ બની ગઈ છે. ઝાડ અને પાક સુકાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવું પડે છે .તેઓ ખેતી છોડવા મજબૂર બન્યા છે.
વર્ષ 2017માં આવેલા પૂર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, છતાં આ ગંભીર સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં અસંતોષ વ્યાપ્યો છે. ગ્રામજનોએ તંત્ર પાસેથી તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

