ઈસ્કોન મંદિર મહેસાણા દ્વારા આવતીકાલે 16 જુલાઈ, 2026ના રોજ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા બપોરે 2:30 કલાકે અવસર પાર્ટી પ્લોટ (મોઢેરા રોડ) ખાતેથી પ્રારંભ થશે અને શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રાધનપુર રોડ સ્થિત ઉમંગ પાર્ટી પ્લોટ ખાતે પૂર્ણ થશે.
આ વર્ષે રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના રથો સાથે કુલ 10 આકર્ષક ધાર્મિક ઝાંખીઓ રજૂ કરવામાં આવશે. આ ઝાંખીઓમાં શ્રીકૃષ્ણ અને રામાયણ તેમજ ભાગવતની વિવિધ પ્રસિદ્ધ લીલાઓનું જીવંત નિરૂપણ કરવામાં આવશે. આ ઝાંખીઓ દ્વારા ભક્તોને ભક્તિ, ધર્મ અને સનાતન સંસ્કૃતિના વિવિધ પ્રસંગોના દર્શન થશે. આયોજકોના જણાવ્યા મુજબ રથયાત્રા દરમિયાન હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન, નૃત્ય તથા પ્રસાદ વિતરણના કાર્યક્રમો પણ યોજાશે.
આ ઝાંખીઓ રહેશે મુખ્ય આકર્ષણ
રાધા-કૃષ્ણ લીલા – સીતા-રામ-લક્ષ્મણ સાથે હનુમાનજીની ઝાંખી – પ્રહલાદ મહારાજ અને નરસિંહ ભગવાનની લીલા – હોલિકા દહનની ઝાંખી – દામોદર લીલા – શ્રીમદ ભાગવત સપ્તાહ આધારિત ઝાંખીઓ – તથા અન્ય વૈષ્ણવ પરંપરાની ધાર્મિક ઝાંખીઓ

