કડોદરા અંદર પાસે અવારનવાર સર્જાતા અકસ્માતોને કારણે માર્ગ અને મકાન વિભાગે આખરે જીવલેણ કટ બીજી વાર બંધ કરવાની ફરજ પડી છે. સુરત-બારડોલી માર્ગ પર માત્ર 1 કિલોમીટરના ચકરાવાથી બચવા લોકો જીવના જોખમે આ કટનો ઉપયોગ કરતા હતા. નાના વાહનોથી લઈને ટ્રકો પણ અહીંથી પસાર થતા હતા. સ્થાનિકોએ R&Bને વારંવાર રજૂઆતો કરી હતી અને કટ બંધ કરવા માંગ કરી હતી, પરંતુ અધિકારીઓએ આ ચેતવણીને અણદેખી કરી હતી.
તંત્રની આળસનું પરિણામ ગત અઠવાડિયે ભોગવવું પડ્યું, આ કટ પર યુવકનો અકસ્માત થયો અને તેનું મોત નિપજ્યું. માસુમ યુવકનો જીવ ગયા બાદ અને સ્થાનિકોમાં રોષ પછી જ અધિકારીઓની ઊંઘ ઊડી હતી. યુવકના મોત બાદ જ ઉતાવળે આ મોતનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે.
હજુ પણ આ 2 મોટી સમસ્યા યથાવત છે આ વિસ્તારમાં હજુ પણ દિવસ-રાત મોટી સંખ્યામાં ગાયો અને પશુઓ રસ્તા વચ્ચે બેસી રહે છે. જેના કારણે ગમે ત્યારે મોટો અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ આજે પણ આ જોખમી રસ્તા પરથી જ પસાર થાય છે, જ્યાં ટ્રાફિક નિયંત્રણ કે સુરક્ષાની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી.

