Gujarat

જેતપુરના ચારણ સમઢીયાળા ગામમાં એક જ શિક્ષકથી ચાલતી સરકારી શાળા, જેતપુરમાંથી આવે છે ભાજપના દીગજ્જ નેતાઓ  

તાલુકાના ચારણ સમઢીયાળા ગામમાં વર્ષોથી એક જ શિક્ષકથી સરકારી પ્રાથમિક શાળા ચાલે છે. તેમજ શાળામાં સ્વચ્છતાના નામે અસ્વચ્છતા પણ જોઈ શકાય છે.
આ શાળામાં 86 વિધાર્થીઓ વચ્ચે ફક્ત એક જ શિક્ષક છે
સરકારી બાબુઓને અનેકવાર રજુઆત પણ સ્થિતિ જેસે થે
ભાજપના દીગજ્જ નેતાઓ આવે છે જેતપુર તાલુકામાંથી
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં જાણે દીવાતળે અંધારું હોય તેવી સ્થિતિ સામે આવી છે. કેમકે ભાજપના દીગજ્જ નેતાઓ જ્યારે જેતપુર તાલુકામાંથી આવતા હોય ત્યારે જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામના ભૂલકાંઓના ભવિષ્ય સાથે જાણે ચેડાં થઈ રહ્યા હોય તેવી બાબત સામે આવી છે. અહીંની ચારણસમઢીયાળા પ્રાથમિક શાળામાં વર્ષોથી એક જ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે. આ સ્કૂલના આચાર્ય દ્વારા પણ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોવાના કારણે આગામી 31 ડિસેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યાં છે.
આમ પણ આ શાળાના આચાર્ય બીમારી સબબ અવારનવાર રજા ઉપર રહેતા હોવાથી એક જ શિક્ષક દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં આવી રહ્યું છે. આચાર્યના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી શાળામાં ફક્ત બે વ્યક્તિનો જ સ્ટાફ છે. હાલ આ શાળામાં ધોરણ 1 થી 8માં કુલ 86 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે આ શાળાના શિક્ષક દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવામાં આવ્યું હતું કે શિક્ષકોનો અભાવ હોવાના કારણે જાણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે તેમજ અગાઉ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને ગ્રામ પંચાયતમાં રજુઆત કરી હોવા છતાં સમસ્યાઓનું સમાધાન નથી આવ્યું.
આગામી સમયમાં આ શાળામાં શિક્ષકોની ઘટ પુરી કરવામાં નહિ આવે તો શાળાને તાળાબંધી કરીશું: ગ્રામજન
શાળામાં શિક્ષકોની ઘટને લઈને ગ્રામજનો પણ પોતાની વેદના વ્યક્ત કરી રહયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક આગેવાન પંકજભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે અમો એ આગાઉ પણ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરી હોય ત્યારે જાણે આ સરકારી બાબુઓ પ્રજાની સેવા કરવાને બદલે પ્રજાને ખો આપતા હોય તેવું લાગી રહ્યું છે. તેમજ તેમણે જણાવ્યું કે જો આગામી સમયમાં જો આ સરકારી પ્રાથમિક શાળામાં શાળાના મહેકમ મુજબ શિક્ષકોનો સ્ટાફ આપવામાં નહિ આવે તો ગામ લોકો દ્વારા શાળાની તાળાબંધી કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
ઉલ્લેખનીય છે કે જેતપુર તાલુકા માંથી જ્યારે ભાજપના દીગજ્જ નેતાઓ જેમકે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, પૂર્વ કેબિનેટમંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા   આવતા હોય ત્યારે જેતપુર તાલુકાની ગામડાઓની શાળાની આવી હાલત હોય ત્યારે બીજા તાલુકાની તો વાત જ શું કરવી?
હરેશ ભાલીયા જેતપુર

IMG-20211227-WA0332.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *