ગાંધીનગર
ગાંધીનગરના સુઘડ નર્મદા કેનાલમાં કોઈ માણસ ડૂબી રહ્યો હોવાનો કોલ ગાંધીનગર ફાયર બ્રિગેડને મળતા જ ફાયર જવાનો તાત્કાલિક જરૂરી સાધનો સાથે કેનાલ પર દોડી ગયા હતા. જ્યાં યુવાને કેનાલમાં છલાંગ લગાવી હોવાથી ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યો હતો. તે વારંવાર માથું બહાર કાઢીને જીવ બચાવવાના પ્રયત્નો કરી રહ્યો હતો, પણ પાણીના ધસમસતા વહેણમાં તે કેનાલની વચ્ચે તણાઈ રહ્યો હતો. આ દ્રશ્ય જાેઈને ફાયરમેન મહાવીર ચૌહાણ અને રોહિત ડાભી કેનાલમાં કૂદી પડ્યા હતા. તેમજ થોડી વારમાં અન્ય ફાયર જવાનો પણ કૂદી પડ્યા હતા. બાદમાં ભારે જહેમત પછી યુવાનને જીવતો બહાર કાઢી ફાયરની ટીમે રાહતનો દમ લીધો હતો. હાલમાં અડાલજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને યુવાનની પ્રાથમિક સારવાર તેમજ આગળની કાર્યવાહી સહિતની કામગીરીમાં લાગી ગઈ છે. નોંધનીય છે કે પ્રાથમિક તપાસમાં કેનાલમાં મોતની છલાંગ લગાવનાર યુવાનનું નામ જયેશ નાનવાણી હોવાનું જાણવા મળ્યું છે. જે અમદાવાદની તાજ હોટલ સામે આશુતોષ એપાર્ટમેન્ટમાં રહેતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. આ અંગે અડાલજ પોલીસ મથકના બીટ જમાદાર દશરથભાઈએ જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે પતિ-પત્ની વચ્ચે ઝગડા ચાલતા હોવાથી જયેશભાઈએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. જાે કે ફાયર બ્રિગેડ દ્વારા તેને બચાવી લેવાયો છે. કેનાલના ઠંડા પાણીના કારણે તેને ઠંડી ચડી ગઈ હોવાથી ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે મોકલી દેવાયો છે. જે સ્વસ્થ થયા પછી કેનાલમાં પડવાનું ચોક્કસ કારણ જાણવા પૂછતાંછ કરીશું.અમદાવાદના યુવાને ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં અંગત કારણોસર ઝંપલાવ્યું હતું. જેથી યુવાન ડૂબતો હોવાનો મેસેજ મળતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક કેનાલ પર દોડી ગયા હતા. તેમજ ક્ષણભરનો સમય બગાડ્યા વિના ફાયરનાં જવાનોએ કેનાલમાં ઝંપલાવી ડૂબતા યુવાનને જીવતો બહાર કાઢી લીધાની ઘટનાના લાઈવ વીડિયો સામે આવ્યા છે.


