સુરત
સુરતના ડિસ્ટ્રીક ચીફ ફોરેસ્ટ ઓફિસરના બંગલાનો માળી કવાટર્સમાંથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. પરિવારે કહ્યું કે, પપ્પાને ખેંચની બીમારી હતી. પત્નીએ કહ્યું કે, બપોર અને રાતનું ભોજન સાથે કર્યું હતું. પણ કોઈ તણાવ દેખાયો ન હતો. ઉમરા પોલીસે પોસ્ટમોર્ટમની દિશામાં કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરા પોલીસે જણાવ્યું હતું કે, અઠવાલાઇન્સ પ્રાંત હાઉસમાં આવેલા છાયા બંગલાના કવાટર્સમાં ૫૧ વર્ષીય જયંતીભાઈ બચુભાઇ ઢોડિયા (મૂળ રહેવાસી ડુમસ-સુલતાનાબાદ) ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. પત્નીએ દરવાજાે ખોલતા જ પતિએ લટકતા જાેઈ ચિચિયારી પાડતા લોકો દોડી આવ્યા હતા. પત્નીએ કહ્યું કે, જયંતીભાઈને ખેંચની બીમારી હતી. ભોજન બાદ છુટા પાડ્યા હતા. બે પુત્રો અને એક પુત્રી છે. પરિવારે વધુમાં જણાવ્યું હતું કે, જયંતિભાઇ લગભગ ૧૫-૨૦ વર્ષથી ફોરેસ્ટ વિભાગમાં કાયમી કર્મચારી તરીકે માળીની જવાબદારી નિભાવી રહ્યા હતા. ડુમસ બાદ એમને ડિસ્ટ્રીક ચીફ ફોરેસ્ટ ઓફિસરના બંગલે કામગીરી સોંપાય હતી. આપઘાત પાછળ બીમારી જ કારણભૂત હોવાનું અનુમાન છે. જાેકે હાલ તપાસ ચાલી રહી છે.


