નડિયાદ
ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં રખડતી ગાયો ઠેકઠેકાણે જાેવા મળી રહી છે. શહેરના મીલ રોડ, ડભાણ રોડ, મિશન રોડ, પીજ રોડ, કોલેજ રોડ સહિત મુખ્ય બજાર સંતરામ રોડ તથા સોસાયટીના રસ્તાઓ પર રખડતી ગાયોનો ત્રાસ વધ્યો છે. એકંદરે કહીએ તો દર અડધા કિલોમીટરે રખડતી ભટકતી ગાયો જાેવા મળી રહી છે. અમૂક કિસ્સામાં રખડતી ગાયો રસ્તાઓ પર દોડધામ મચાવતાં દ્વિચક્રી વાહનોને અડફેટે લેતાં વાહન ચાલકોને નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે. રખડતા પશુઓના કારણે ઘણીવખત ટ્રાફિક જામ પણ થાય છે. તો વળી ચક્કાજામ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત અનેક ઈમરજન્સી વાહનોને પણ ટ્રાફિકનો ભોગ બનવું પડતું હોય છે. પાલિકા તંત્ર ઢિલાસ નીતિ અપનાવતા ગૌમાલિકો બેફામ બની પોતાના પશુઓને છુટા મૂકતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે આવા પશુઓ રસ્તાઓ પર ભટકે છે. આવી રખડતી ગાયોને પાંજરે પુરી ગૌ માલિકો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક બાજુ રાજ્ય સરકાર રાજ્યમાં રખડતા પશુઓ મામલે આકરા પગલા લેવા જઈ રહી છે. ત્યારે નાના સીટીમાં પણ રખડતા પશુઓ મામલે કડક કાર્યવાહી કરે તેવી માંગ પ્રબળ બની છે.


