International

યાવોરીવ મિલિટરી બેઝમાં ૧૮૦ વિદેશી સૈનિકો હુમલામાં માર્યા ગયાનો રશિયાનો દાવો

અમેરિકા
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ૧૮મો દિવસ છે ન તો રશિયન સેના પીછેહઠ કરી રહી છે અને ન તો યુક્રેનિયન સૈનિકો હાર માની લેવા તૈયાર છે. તે જ સમયે, રવિવારે રશિયાએ નાટો સભ્ય પોલેન્ડને અડીને આવેલા યુક્રેનની પશ્ચિમી સરહદ પર એક સૈન્ય તાલીમ મથક પર મિસાઈલ છોડી હતી, જેમાં ૩૫ લોકો માર્યા ગયા હતા. યુક્રેનના અધિકારીઓએ આ જાણકારી આપી. બીજી તરફ, રશિયાએ દાવો કર્યો છે કે તેણે પશ્ચિમ યુક્રેનમાં યાવોરીવ લશ્કરી તાલીમ બેઝ પરના હુમલામાં ૧૮૦ “વિદેશી ભાડૂતી સૈનિકો”ને માર્યા છે. રશિયન સરકારે કહ્યું કે તે યુક્રેનમાં વિદેશી નાગરિકોની હત્યા કરવાનું ચાલુ રાખશે. આ હુમલો રશિયા દ્વારા વિદેશી શસ્ત્રોના માલસામાનને નિશાન બનાવવાની ધમકી બાદ કરવામાં આવ્યો હતો. આ હથિયારો દ્વારા યુક્રેનિયન લડવૈયાઓને તેમના દેશની રક્ષા માટે મદદ કરવામાં આવી રહી છે. યુક્રેનના પશ્ચિમ લ્વિવ ક્ષેત્રના ગવર્નરના જણાવ્યા અનુસાર, પોલેન્ડની સરહદથી ૨૫ કિલોમીટરથી ઓછા અંતરે વિશાળ સૈન્ય તાલીમ વિસ્તાર પર ૩૦ થી વધુ મિસાઇલો છોડવામાં આવી હતી. પોલેન્ડ એ યુક્રેનને પશ્ચિમી લશ્કરી સહાયનો પરિવહન માર્ગ છે. રશિયાના ૧૮-દિવસના આક્રમણમાં યાવોરીવની નજીકનું પ્રશિક્ષણ આધાર સૌથી દૂરનું પશ્ચિમી લક્ષ્ય છે. તે ઇન્ટરનેશનલ પીસ ફોર્સ એન્ડ સિક્યુરિટી સેન્ટર તરીકે ઓળખાય છે, જેનો ઉપયોગ યુક્રેનિયન સૈનિકોને તાલીમ આપવા માટે કરવામાં આવે છે. ટ્રેનર્સ અમેરિકા અને નાટો દેશોના છે. લ્વિવના ગવર્નર મેક્સિમ કોઝિત્સ્કીએ જણાવ્યું હતું કે રવિવારે છોડવામાં આવેલી મોટાભાગની મિસાઇલો “હવાઈ સંરક્ષણ પ્રણાલી કામ કરતી હોવાથી તેને નીચે પાડી દેવામાં આવી હતી.” તેમણે કહ્યું કે હુમલામાં ઓછામાં ઓછા ૩૫ લોકો માર્યા ગયા અને ૧૩૪ ઘાયલ થયા. યુક્રેનથી ઇરપિનમાં કવરેજ દરમિયાન ન્યુ યોર્ક ટાઇમ્સના પત્રકારનું મૃત્યુ થયું હતું. બીજી તરફ યુક્રેનના મેરીયુપોલમાં ભીષણ બોમ્બ ધડાકા ચાલુ છે. રશિયાની ઝેડ ઝુંબેશ મેરીયુપોલમાં પાયમાલી મચાવી રહી છે. તે જ સમયે, નિષ્ણાતો કહે છે કે રશિયા આ યુદ્ધને શક્ય તેટલી વહેલી તકે સમાપ્ત કરવા માંગે છે. તે કિવને પકડવા માંગે છે. તમને જણાવી દઈએ કે રશિયા તરફથી યુક્રેન પર એર-યુ-એર સાથે સતત સરફેસ ટુ સરફેસ એટેક થઈ રહ્યા છે. યુક્રેનની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. પોપ ફ્રાન્સિસે યુક્રેનમાં ચાલી રહેલા રશિયન હુમલામાં નિઃશસ્ત્ર નાગરિકો અને બાળકોની હત્યાને બર્બર ગણાવીને વખોડી કાઢી છે. પોપે વિનંતી કરી કે “શહેરો કબ્રસ્તાનમાં ફેરવાય” તે પહેલાં યુદ્ધ તરત જ બંધ કરવું જાેઈએ. રવિવારે, પોપે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી સખત શબ્દોમાં તેની નિંદા કરી. રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં એકઠા થયેલા લગભગ ૨૫,૦૦૦ લોકોને સંબોધતા પોપે કહ્યું, ‘હું ભગવાનના નામે કહું છું કે આ નરસંહાર બંધ કરો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *