જામનગર
જામનગરની શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાતા હોલિકા ઉત્સવ માટે ભોઈ સમાજના ૩૦૦થી ૪૦૦ લોકો દ્વારા હાલ હોલિકાના મહાકાય પૂતળાને તૈયાર કરવામાં આવી રહ્યું છે. અહીં દર વર્ષે હોલિકા અને ભક્ત પ્રહલાદના પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. હોળીની હોલિકા અને પ્રહલાદની પ્રાચીન કથા મુજબ જ અહીં હોલિકા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ભોઈ વાડા વિસ્તારમાં આવેલી ભોઈ સમાજની વાડીમાં હોલિકા ઉત્સવના એક મહિના પહેલા જ હોલિકા અને ભક્ત પ્રહલાદના પૂતળા બનાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે. ઘાસ, શણના કોથળા, લાકડા, કપડા સહિતની ચીજવસ્તુની મદદથી પૂતળાનું નિર્માણ કરવામાં આવે છે. હોળીના દિવસે ભોઈ સમાજના લોકો ઢોલ નગારા સાથે વિશાળ પૂતળાના દહન માટે શાકમાર્કેટ વિસ્તારમાં લાવે છે.જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા યોજાતા હોલિકા ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જામનગરના સૌથી મોટા હોલિકા ઉત્સવ માટે ૩૦ ફૂટ ઊંચા પૂતળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. છેલ્લા ૬૬ વર્ષથી અહીં ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા અનુસાર હોલિકા દહન કરવામાં આવે છે.
