ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે રહેતા રણજીતભાઇ નારણભાઈ રાઠોડની સીમ વિસ્તારમાં વીરા ભગત મંદિરની સામે ખેતીની વાડી આવેલી છે. જેમાં પવનના કારણે ખેતર ઉપરથી પસાર થતી વીજ લાઇનના વાયરો આંટી વળી જતા તણખા ઝર્યા હતા. જે નીચે રહેલ શેરડીના વાડ પર પડતા એકાએક આગ ભભુકી ઉઠી હતી. જાે કે આગને ઠારવા આસપાસના ખેડૂતો દોડી ગયેલ પરંતુ તે પ્રયાસ ના કાફી રહ્યો હતો. આગના લપેટમાં ત્રણ વીઘા જમીનમાં વાવેલ શેરડીનો પાક સંપૂર્ણ બળીને ખાખ થઈ જતા ખેડુતને પોણા બે લાખનુ નુકસાન થયુ છે. ડોળાસા વિસ્તારમાં મે- ૨૦૨૧માં વાવાઝોડું આવેલ ત્યારે ભારે ખાનાખરાબી સર્જાઈ હતી. જેમાં ખેતીવાડીની વીજ લાઈનો સંપૂર્ણ ખતમ થઈ ગઈ હતી. જે બે મહિના બાદ ઉભી કરવામાં તો આવી પરંતુ તે પૈકીના મોટા ભાગના વીજ વાયરો હજુ પણ ઢીલા છે. જેના કારણે છેલ્લા પંદર દિવસમાં ડોળાસા ગામની આવી આગની બે ઘટના બની છે અને ડોળાસા પંથકમાં ખેતરોમાં આવી રીતે આગ લાગવાની છ ઘટના બની છે. જેમાં ડોળાસામાં ૨, બોડિદરમાં ૧, સોનાપરામાં ૧ અને માલગામમાં ૧ ખેતરમાં આગ લાગવાની ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે. આગની ઘટના અંગે ખેડૂતે વીજ વિભાગ અને કોડીનાર પોલીસમાં જાણ કરી છે. શેરડીનો વાડ ખેતરમાં આખું વર્ષ જતન કર્યા બાદ પાકે છે. તેમ આ ખેડૂતની વર્ષભરની મહેનત એળે જતા ખેડૂતની કમર તૂટી ગઈ હોય વળતર મળે તેવી માંગ ઉઠી છે.ગીર સોમનાથના ડોળાસા ગામએ એક ખેડૂતે ત્રણ વિઘા જમીનમાં વાવેલ શેરડીના પાક ઉપરથી પસાર થતી વીજ લાઇનના વાયરોમાંથી તણખા ઝરતા આગ લાગતા સંપુર્ણ પાક બળીને ખાખ થઈ ગયો હતો. આ આગના કારણે ખેડુતની વર્ષભરની મહેનત પર પાણી ફરવા ઉપરાંત પોણા બે લાખનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.


