વડોદરા
વડોદરા ફાયર બ્રિગેડ ના અધિકારીયો દ્વારા ફાયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પોલોગ્રાઉન્ડ ખાતે શહીદોને શ્રધ્ધાંજલિ આપી વિવિધ નિદર્શનો યોજ્યા હતા.વર્ષ દરમિયાન ફાયર બ્રિગેડે ૭૦૭ સ્થળોએ આગના બનાવોમાં કામગીરી કરી છે. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા માત્ર વડોદરામાં જ નહીં પણ વડોદરાની આસપાસના જિલ્લાઓના અંતરિયાળ ગામોમાં પણ સેવાઓ પહોંચાડવામાં આવે છે.કોરોના કાળમાં ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહોની અંતિમવિધિની કામગીરી કરવામાં આવી હતી.જેમાં ડાહ્યાભાઇ સોલંકીનું મૃત્યુ પણ થયું હતું. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ૯૯ લોકોને ડૂબતા બચાવવામાં આવ્યા છે.આગ-અકસ્માતની સાથે ફાયર બ્રિગેડ દ્વારા પશુ-પક્ષીઓના જીવ બચાવવાની પણ કામગીરી કરવામાં આવી છે.જેમાં ૯૦૪ પશુ-પક્ષીના જીવ બચાવવામાં આવ્યા છે.ફાયર બ્રિગેડ દ્વારા હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી,હોસ્પિટલો અને ટયુશન ક્લાસમાં ફાયર સેફ્ટી માટે પણ ઝુંબેશ કરાઇ છે.જેમાં એક ડઝન જેટલા બિલ્ડિગો સીલ કરવામાં આવ્યા હતા.અત્યાર સુધી ૪૦ મીટરની ઉંચાઇ સુધીના બાંધકામની મંજૂરી અપાઇ હોવાથી ફાયર બ્રિગેડે ૪૪ મીટર સુધી કામમાં લાગે તેવા બ્રોન્ટો ફાયર એન્જિન વસાવ્યું હતું.જ્યારે,હવે ૭૦ મીટરની પરવાનગી મળતાં ફાયર બ્રિગેડ દ્વારા ૮૧ મીટરની ઉંચાઇ માટે ઉપયોગી ફાયર એન્જિન વસાવવામાં આવશે.વડોદરાની વસ્તિ અને વિસ્તારનો વધારો થતાં ફાયર બ્રિગેડ દ્વારા નવા બે ફાયર સ્ટેશન શરૃ કરવામાં આવનાર છે.જેમાં એક ફાયર સ્ટેશન પશ્ચિમ વિસ્તારમાં વાસણા-ભાયલી રોડ પર બનશે.જ્યારે,બીજું ફાયર સ્ટેશન પૂર્વ વિસ્તારમાં ડભોઇરોડ સોમાતળાવ ખાતે બનવાનું છે. મુંબઇના વિક્ટોરિયા ડોકયાર્ડ ખાતે તા.૧૪-૪-૧૯૪૪ના રોજ ઇંગ્લેન્ડના પાંચ હજાર ટનનું જહાજ બોમ્બની જેમ ફાટતાં બનેલી ગોઝારી દુર્ઘટનામાં મુંબઇના ૬૬ ફાયર મેન સહિત ૩૨૧ના મોત થયા હતા.જેથી આ દિવસે દેશભરમાં ફાયર ડે તરીકે મનાવવામાં આવે છે.


