નવીદિલ્હી
આસામના કોકરાઝારના સ્થાનિક બીજેપી નેતાએ તેમની સામે ફરિયાદ નોંધાવ્યા બાદ ગુરુવારે આસામ પોલીસની ટીમ દ્વારા ગુજરાતના પાલનપુરમાંથી મધરાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જીગ્નેશ મેવાણી પીએમ મોદીના કટ્ટર ટીકાકાર છે તેમણે પોતાની ધરપકડને પીએમઓ (વડાપ્રધાન કાર્યાલય) દ્વારા બદલાની રાજનીતિ ગણાવી છે. જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, આ બીજેપી અને આરએસએસનું સંયુક્ત કાવતરું છે. તેઓએ મારી છબી ખરાબ કરવા માટે આ કૃત્ય કર્યું છે. તેઓ આ પ્લાનિંગથી કરી રહ્યા છે. તેઓએ રોહિત વેમુલા, ચંદ્રશેખર આઝાદ સાથે આવું જ કર્યું હતું અને હવે મને નિશાન બનાવી રહ્યા છે. ૪૧ વર્ષિય ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પર ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ સંબંધિત ગુનાઓ, ધાર્મિક લાગણી ભડકાવવી અને ઉશ્કેરણીનો આરોપ મૂકવમાં આવ્યો છે. પોતાની ફરીયાદમાં બીજેપી નેતા અરૂપ કુમાર ડેએ મેવાણી પર આરોપ લગાવ્યો કે, જીગ્નેશ મેવાણીના ટિ્વટ દ્વારા કોઇ ચોક્કસ સમુદાયના લોકોના વર્ગને ઉશ્કેરણી કરવામાં આવી રહી છે. અરૂપ કુમાર ડેએ કહ્યું કે, મેવાણી પોતાના પદ દ્વારા લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે .અને હંમેશા વડા પ્રધાન મોદી વિશે નકારાત્મક બોલે છે. આપણે નસીબદાર છીએ કે મોદીજી આપણા વડા પ્રધાન તરીકે છે અને મેવાણી તેમનું નામ તાજેતરની હિંસાની ઘટનાઓ સાથે જાેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું પીએમ મોદી તેના માટે જવાબદાર છે? તે કહે છે કે ગોડ્સે પીએમ મોદીના ભગવાન છે તેની પાસે શું પુરાવા છે? કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, ગુજરાતમાં ભાજપ ૧૯૯૫થી શાસન કરી રહ્યું છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ફરિયાદના ૨૪ કલાકની અંદર જ ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીએ ટિ્વટ કર્યું કે, મોદીજી, તમે રાજ્યની મશીનરીનો દુરુપયોગ કરીને અસંમતિને કચડી નાખવાનો પ્રયાસ કરી શકો છો. પરંતુ તમે ક્યારેય સત્યને કેદ કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાની વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય મેવાણીએ કહ્યું હતું કે તેઓ આગામી ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લડશે.ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલીઓ પૂરી થવાનું નામ લેતી નથી. મેવાણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટ્વીટ કરવાના કેસમાં આસામની કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ આજે એક નવા કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ગઈ કાલે ટિ્વટ કેસમાં જામીન અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આસામના બારાપેટાની પોલીસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવા આવી હતી. ત્યારે પોલીસ હજુ સુધી જીગ્નેશ મેવાણીની ફરી ધરપકડ શા માટે કરી તે સ્પષ્ટ કહ્યું નથી.


