ખેડૂત પરિવારને દેશી ગાય નિભાવ માટે સરકાર દ્વારા દર મહિને રૂ.૯૦૦ ની સહાય ચુકવવામાં આવે છે
જામનગર તા.૧૭ મે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-જામનગર ની કચેરીના પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી દ્વારા જણાવવામા આવે છે કે જામનગર જિલ્લાના ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિની દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે ઓનલાઈન આઇ ખેડૂત પોર્ટલ પર તારીખ ૧૩/૦૫/૨૦૨૨ થી ૨૭/૦૫/૨૦૨૨ સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે. રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડુતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૂ.૯૦૦/- (વાર્ષિક રૂ.૧૦૮૦૦/-) યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે
જે ખેડૂત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત પરિવારને દેશી ગાય નિભાવ માટે મહિને રૂ.૯૦૦/-(વાર્ષિક રૂ.૧૦૮૦૦/-)ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઈડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે તથા પ્રાકૃતિક ખેતી કરતો હોવો જરૂરી છે. અગાઉ આ યોજના હેઠળ લાભ મળેલ હોય તેવા ખેડુતો અરજી કરી શકશે નહી.
આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જે તારીખ ૧૩/૦૫/૨૦૨૨ થી ૨૭/૦૫/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડૂતે પ્રિન્ટઆઉટ અરજી સાથે ૭-૧૨ ની નકલ અથવા ૮-અ ની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતીપત્રક, દેશી ગાય ધરાવતા હોય તેવો ટેગ નંબર સાથેનો ફોટોગ્રાફ અને બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના ૭ દિવસમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ, ખેડૂત તાલીમ કેન્દ્ર, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સરોડ, વુંલન મિલની સામે, જામનગર ખાતે રજુ કરવાની રહેશે.
