જામનગર
રાજ્યમાં ગુનાખોરીને રોકવા માટે વિશિષ્ટ કામગીરી કરનારા આઈપીએસ અધિકારીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના તત્કાલીન એ.એસ.પી. અને હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા નીતેશ પાંડેયને જામનગરના કુખ્યાત ભૂમાફિયા સહિતની ટોળકી સામેના ગુજસીટોકના કેસમાં અસરકારક કામગીરી કરવા માટે મેડલ આપીને નવાઝવામાં આવ્યા હતા. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે જામનગર શહેર અને જિલ્લામાં ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ટોળકીનો વ્યાપ જે રીતે વધી રહ્યો હતો. તેને જાેતાં સમગ્ર મામલો ગાંધીનગર સુધી પહોંચતા જામનગરમાં જયેશ પટેલ અને તેની ગેંગ પર કાયદાનો મજબુત ગાળિયો કસી કાયદાના સકંજામાં લાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જામનગરના એસ.પી. તરીકે દીપન ભદ્રન અને તેમની સાથે એ.એસ.પી. તરીકે આઈ.પી.એસ. નીતેશ પાંડેયને મુકવામાં આવ્યા હતા. આ ગેંગના સાગરીતો સામે ગુજરાત સરકારે અમલી બનાવેલા ગુજસીટોકના કાયદાનું શસ્ત્ર ઉગામી, ગેંગના જયેશ પટેલ સહિતના સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં નામચીન વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં આ સાગરીતો રાજ્યની જુદી જુદી જેલોમાં ગુજસીટોકના કાયદા હેઠળ બંધ છે. આ સમગ્ર કેસમાં તત્કાલીન એસ.પી. દીપન ભદ્રનના સીધા માર્ગદર્શન હેઠળ તત્કાલીન એ.એસ.પી. અને હાલ દ્વારકા જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેયનો રોલ ખુબ મહત્વનો રહ્યો છે. જેની માત્ર રાજ્યના ગૃહ વિભાગ નહિ પણ કેન્દ્રના ગૃહ વિભાગે પણ બે વખત નોંધ લીધી છે. આ અગાઉ નીતેશ પાંડેયને ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા પણ એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન-૨૦૨૧નો મેડલ મળ્યો છે.


