ગિરગઢડા તા
ભરત ગંગદેવ.
આજે સમાજમા નાની મોટી બાબતોના કારણે અણબનાવો બને છે. તેથી ઘણા પરિવારો વેરવિખેર થતાં હોય છે. પણ યોગ્ય સમજાવટના કારણે સુખદ સમાધાન લાવી શકીએ છીએ. તાલાલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક મહિલાએ અભયમનો સંપર્ક સાધતા પોતાની આપવિતી જણાવતા કહ્યુ કે, હું ચાર માસથી મારા પતિ સાથે અણબનાવના કારણે પિયરમાં રહું છું અને મારા પતિ મને સ્વિકારવાની નાં પાડે છે. મારા પતિ મને સ્વીકારી લે તે માટે તમારી મદદની જરૂર છે. તે મહિલાની વાત સાંભળી ફરજ પર હાજર રહેલ કાઉન્સેલર મનીષા ધોળિયા, કોન્સ્ટેબલ જીજ્ઞા બેન, તેમજ ડ્રાઈવર અલ્પેશભાઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા.
વેરાવળ અભયમ ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરી તેમની બધી આપવીતી જાણી. આ મહિલા ૩ માસથી સગર્ભા છે તે વાતની જાણ તેના પતિને હોવા છતાં તેમની કાળજી ના રાખતા હતાં. ત્યાર બાદ આ બેનનાં પતિનું કાઉન્સિલિંગ કરી તેમને પિતા અને એક પતિની જવાબદારી તેમજ ફરજ વિશે વિશેષ સમજાવવામાં આવ્યું હતું. તેમજ તેમનાં સાસુને સાથે રાખીને જે અણબનાવ હતો તે દૂર કરવામાં આવ્યાની સાથે કાયદાકીય સમજ આપવામા આવી હતી. તેથી પતિએ પણ સગર્ભા પત્નિને દૂર રાખવાનો અફસોસ વ્યક્ત કર્યો અને તેની ભૂલ સ્વીકારી હતી હવે પછી આવી ભૂલ નહી થાય તેની બાહેંધરી આપી હતી. જેથી અભયમ ટીમ અલગ રહેતા બંને પતિ-પત્ની વચ્ચેની સીડી બનીને એક તૂટતા પરિવારને ફરી એક કરી સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.


