મુંબઇ
ઈંગ્લેન્ડના લિમિટેડ ઓવર ફોર્મેટના કેપ્ટન ઈયોન મોર્ગને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૫ વર્ષીય મોર્ગન ઈંગ્લેન્ડનો સૌથી વધુ રન બનાવનાર તેમજ વનડે ક્રિકેટમાં સૌથી સફળ કેપ્ટન છે. મોર્ગને ઈંગ્લેન્ડ માટે ૨૨૫ વનડેમાં ૧૩ સદીની મદદથી ૬૯૫૭ રન બનાવ્યા છે. વનડે ક્રિકેટમાં મોર્ગનના કુલ ૧૪ સદી સાથે ૭૭૦૧ રન છે. ઈયોન મોર્ગને ૧૨૬ મેચોમાં ઈંગ્લેન્ડની કેપ્ટનશિપ કરી હતી, જેમાં તેણે ૭૬માં જીત મેળવી હતી અને આ સમયગાળા દરમિયાન તેની જીતની ટકાવારી ૬૫.૨૫ હતી. તેની સુકાની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણોમાંની એક ઈંગ્લેન્ડને ઘરની ધરતી પર ૨૦૧૯ આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ તરફ દોરી જતી હતી.
૨૦૧૫માં એલિસ્ટર કૂકના અનુગામી તરીકે નિયુક્ત થયા બાદ મોર્ગને ૧૨૬ વનડે અને ૭૨ ટી ૨૦ માં ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું છે. આ દરમિયાન, ઇંગ્લેન્ડ તેની કપ્તાની હેઠળ ૨૦૧૬ વર્લ્ડ ટી ૨૦ ની રનર-અપ હતી અને બાદમાં ટીમે ૨૦૧૯ વનડે વર્લ્ડ કપ જીત્યો હતો. ૨૦૦૯માં ઈંગ્લેન્ડ તરફથી રમતા પહેલા મોર્ગને આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં ૩૪૦ વખત ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરવા ઉપરાંત મોર્ગને ૨૦૧૦ અને ૨૦૧૨ વચ્ચે ૧૬ ટેસ્ટ મેચ રમી હતી.
મોર્ગન ખૂબ જ સફળ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પણ હતો. તેણે ૧૧૫ મેચમાં ૧૪ અડધી સદી અને ૧૩૬.૧૮ની એવરેજ સાથે ૨૪૫૮ રન બનાવ્યા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ ટી૨૦ કેપ્ટન છે, તેની કપ્તાની હેઠળ ટીમે ૭૨ માંથી ૪૨ મેચ જીતી છે. મોર્ગન છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. મોર્ગને તેની છેલ્લી ૨૮ આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર બે અડધી સદી ફટકારી હતી. માનવામાં આવે છે કે મોર્ગનની જગ્યાએ જાેસ બટલરને ઈંગ્લેન્ડની વનડે અને ટી ૨૦ ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
નિવૃત્તિની ઘોષણા કરતા મોર્ગને એક નિવેદનમાં જણાવ્યું કે, સાવધાનીપૂર્વક વિચાર-વિમર્શ કર્યા બાદ હું તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરી રહ્યો છું. હું માનું છું કે આમ કરવા માટેનો હવે યોગ્ય સમય છે, મારા માટે અંગત રીતે અને ઈંગ્લેન્ડની લિમિટેડ ઓવરોની ટીમ માટે જે મેં આ સ્થાને હાંસલ કર્યું છે. હું બે વિશ્વ કપ વિજેતા ટીમોમાં રમવાનું નસીબદાર રહ્યો છું, પરંતુ હું માનું છું કે ઈંગ્લેન્ડની સફેદ બોલ ટીમોનું ભવિષ્ય પહેલા કરતા વધુ ઉજ્જવળ છે, અમારી પાસે પહેલા કરતા વધુ અનુભવ, વધુ તાકાત અને વધુ ઊંડાણ છે.
