ગિરગઢડા
ભરત ગંગદેવ.
વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે ગીર સોમનાથનાં ઘુંસિયા, ધ્રાબાવડ, આંબાવડ, વિરપુર, અને ધાવામાં ઉલ્લાસપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. મેઘાના અમીછાંટણાં અને શરણાઈઓના સૂર વચ્ચે ઘુંસિયામાં પરંપરાગત વસ્ત્રોથી સજ્જ થઈ અને બાળાઓએ વિકાસરથના ઓવારણાં લીધા હતાં તો ધાવામાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વિકાસ યાત્રાનું આગમન થયું હતું.
ગીર સોમનાથનાં ધ્રાબાવડ, આંબાવડ તેમજ વિરપુરમાં પણ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વિકાસયાત્રાનું સ્વાગત કર્યુ હતું. ઉપરોક્ત ગામોમાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
જ્યારે વિરપુરમાં આંગણવાડીની બહેનો દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન પણ યોજાયું હતું તો બાળાઓએ પણ ‘શુભ દિન આયો’ પર નૃત્ય કરી કાર્યક્રમને ઉત્સાહપૂર્વક માણ્યો હતો. તમામ ગામમાં મહાનુભાવોનું સ્વાગત ઔષધિય છોડ આપીને કરવામાં આવ્યું હતું અને સરકારની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને સહાય અર્પણ કરવામાં આવી હતી.
20 વર્ષનો વિશ્વાસ અને 20 વર્ષનો વિકાસ એટલે વંદે ગુજરાત વિકાસ યાત્રા. આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા લોકોને સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પા પા પગલી, વન નેશન વન રેશન અંતર્ગત સહાય અર્પણ કરવામાં આવી હતી તેમજ આ તમામ યોજનાઓ સહિત ખેડૂતોને લગતી યોજનાઓ વિશે પૂર્ણ રીતે માહિતી પણ આપી હતી અને ગ્રામજનો સરકારની વિવિધ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી અપીલ પણ કરવામાં આવી હતી….


