નવીદિલ્હી
એવિએશન સેક્ટરના રેગુલેટર ડીજીસીએએ સ્પાઇસજેટ પર મોટી કાર્યવાહી કરી છે. આગામી ૮ સપ્તાહ સુધી તેની ૫૦ ટકા ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો છે. હાલમાં સ્પાઇસજેટના વિમાનોમાં ટેકનિકલ ખામીના ઘણા મામલા સામે આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખી ડીજીસીએએ એરલાઇન પર આ કાર્યવાહી કરી છે. સ્પાઇસજેટના વિમાનોમાં હાલમાં ૧૮ દિવસની અંદર ગડબડીના આશરે ૮ મામલા સામે આવ્યા હતા. ત્યારબાદ ડીજીસીએએ છ જુલાઈએ તેને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી. સિવિલ એવિએશન રાજ્યમંત્રી વીકે સિંહે સોમવારે કહ્યુ હતુ કે ડીજીસીએએ સ્પાઇસજેટ એરક્રાફ્ટના સ્પોટ ચેક્સ દરમિયાન સેફ્ટીમાં ઉલ્લંઘનનો કોઈ મોટો મામલો જાણવા મળ્યો નથી. ડીજીસીએએ બુધવારે પોતાના આદેશમાં કહ્યું કે સ્પાઇસજેટ એક સેફ અને વિશ્વસનીય સેવા આપવામાં નિષ્ફળ રહી છે. એરલાયન્સ આ પ્રકારની ખામી રોકવાના ઉપાય કરી રહી છે પરંતુ તે માટે હજુ ઘણું કરવાની જરૂર છે. વિમાનન નિયામકે કહ્યું કે વિભિન્ન સ્થળોની તપાસ, નિરીક્ષણ અને સ્પાઇસજેટ તરફથી જમા કરાવવામાં આવેલ કારણ દર્શાવો નોટિસના જવાબને ધ્યાનમાં રાખી સુરક્ષિત અને વિશ્વસનીય પરિવહન સેવાની નિરંતરતા માટે સ્પાઇસજેટની ગરમીઓ માટે મંજૂર ઉડાનોની સંખ્યા ૮ સપ્તાહ માટે ૫૦ ટકા સીમિત કરી દેવામાં આવે છે. સ્પાઇસજેટના વિમાનોમાં ૧૯ જૂનથી ૧૮ દિવસના સમય દરમિયાન ટેકનિકલ ખામીના ઓછામાં ઓછા આઠ મામલા સામે આવ્યા બાદ ડીજીસીએએ છ જુલાઈએ એરલાયન્સને કારણ દર્શાવો નોટિસ ફટકારી હતી. નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે ખરાબ આંતરિક સુરક્ષા નિરીક્ષણ અને મેઈન્ટેન્સનની અપૂરતી કાર્યવાહીને કારણે સુરક્ષા માપદંડોમાં ઘટાડો થયો છે.

