મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદ માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’નું આયોજન કરવા સૂચન કર્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લા ખાતે ચાલુ માસના ચોથા ગુરુવાર એટલે કે આગામી તા. ૨૫ ઓગસ્ટના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવેલ છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તા. ૧૦ ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાના રહેશે. ત્યારબાદ રજૂ કરાયેલ પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહી.
આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે નીચે જણાવેલ તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે. જે અંતર્ગત,
(૧) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.
(૨) અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી બે નકલ સાથે રજૂ કરવો.
(૩) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ.
(૪) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહી.
(૫) નિશ્ચિત તારીખ વીત્યા પછીની કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી/વિભાગના પ્રશ્નો હોય તેવી, સુવાચ્ય ન હોય તેવી, નામ સરનામા વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલ ન હોય તેવી, કોર્ટ મેટર, આંતરીક તકરાર, સેવાને લાગતી અરજી પર કોઈ કાર્યવાહી થઇ શકશે નહી.
આ તમામ બાબતો અરજદારોએ નોંધ લેવા સ્વાગત શાખા, નિવાસી અધિક કલેકટર, કલેકટર કચેરી, જામનગરની યાદી દ્વારા અનુરોધ કરાયો છે.
