પંચમહાલ
બે વર્ષના કોરોનાકાળ બાદ સોમવારના દિવસે ગણેશજીની શોભાયાત્રા યોજવામાં આવશે, શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ કમર કસી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી, જેમાં ગોધરા પ્રાંત અધિકારી, નાયબ પોલીસ અધિક્ષક, વિવિધ પોલીસમથકના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ સ્ટાફ જાેડાયો હતો.ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે લોકો દ્વારા ભક્તિભાવ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગોધરા શહેરમાં પાંચ દિવસના આતિથ્ય બાદ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે ત્યારે ગોધરા શહેરમાં વિવિધ માર્ગો ઉપર વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે ગોધરા શહેરના નાનામોટા ૧૦૦ ઉપરાંત ગણેશ મંડળો વિસર્જન શોભાયાત્રામાં જાેડાવવા માટે એકઠા થાય છે, ત્યારબાદ શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવે છે.

