વાલિયા તાલુકાના આદિવાસી સમાજ દ્વારા અનુસુચિત જન જાતિના ખોટા જાતિ પ્રમાણ પત્ર સ્વીકારનાર અને આપનાર સામે પગલા ભરવાની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારે 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરતા તેનો વિરોધ નોંધાવી તેને રદ કરવાની પણ માગ કરી છે.
આજરોજ વાલિયા ગામના ચાર રસ્તા પાસે આવેલા બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી રેલી સ્વરૂપે સુત્રોચ્ચાર સાથે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને આદિવાસી સમાજે આવેદન પત્ર આપ્યું હતું.
આદિવાસી સમાજના આગેવાન ચંપક વસાવા, રજની વસાવા, વિનય વસાવા, વિજય વસાવા, કિરીટ વસાવા, સંજય વસાવા, કોકિલાબેન તડવી સહિતના યુવા આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે મામલતદાર માધવીબેન મિસ્ત્રીને એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યાં અનુસાર રાષ્ટ્રપતિના 1950 અને 1956ના મોડિફાઇડ નોટીફીકેશનનું ઉલ્લંઘન કરી કેન્દ્ર સરકાર દ્વારા ગેરબંધારણીય રીતે 14મી સપ્ટેમ્બરના રોજ 12 જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરત કરવામાં આવી છે જે તાત્કાલિક રદ્દ કરવા, નિયામક આદિજાતિનો 15-9-22નો ગેરબંધારણીય પત્ર રદ્દ કરવા, રબારી, ભરવાડ અને ચારણ જાતિને બક્ષીપંચમાં સમાવેશ કરવા, તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતી પ્રમાણ પત્રો રદ્દ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સહીત પાંચ માંગણીઓ સંદર્ભે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આદિવાસી સમાજને ખરા અર્થમાં ન્યાય આપે તેવી માંગ કરવામાં આવી છે.
Attachments area


