વડોદરા
આગામી આવી રહેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરતા ભાજપના ગઢના પાયા હચમચી ગયા છે. તા. ૨૦ મી સપ્ટેમ્બરના રોજ વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના ઝ્રસ્ અરવિંદ કેજરીવાલે સભા કરી હતી. તે પ્રિત પાર્ટી પ્લોટનું ગેરકાયદે દબાણ દૂર કરવા માટે પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચતા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના કાર્યકરો જે.સી.બી. આગળ બેસી ગયા હતા. બીજી બાજુ પાર્ટી પ્લોટના માલિકે નોટિસ આપી ન હોવાનો પ્રશ્ન ઉઠાવતા પાલિકાએ નોટિસ આપવાની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા પ્રિત પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો કાર્યક્રમ યોજાયો હતો. જેના પગલે શહેર ભાજપમાં હડકંપ મચી ગયો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમ માટે પાર્ટી પ્લોટ આપનાર નવનિતભાઇ પટેલના પ્રિત પાર્ટી પ્લોટની દીવાલ ગેરકાયદે હોવાના આક્ષેપ મૂકીને ભાજપ શાસિત પાલિકાની દબાણ શાખાની ટીમ સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દિવાલનું દબાણ દૂર કરવા માટે પ્રિત પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગઇ હતી. આ અંગેની જાણ આમ આદમી પાર્ટીના કાર્યકરોને થતાં મોટી સંખ્યામાં કાર્યકરો પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ગયા હતા. અને પાલિકા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સત્તા કબજે કરવા માટે ઝંઝાવાતી પ્રચાર શરૂ કરી દીધો છે. સમયાંતરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે. પરિણામે ગુજરાત ભાજપમાં ફફાડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં તેઓ વડોદરાની મુલાકાતે આવ્યા હતા. અને વડોદરાના છાણી રોડ ઉપર આવેલા પ્રિત પાર્ટી પ્લોટમાં બુદ્ધજીવીઓ સાથે બેઠક કરી હતી અને ગુજરાતની ભાજપા સરકાર સામે આક્ષેપો કર્યાં હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યક્રમ માટે શહેરના ૧૩ પાર્ટી પ્લોટ પર કાર્યક્રમની મંજૂરી મળી ન હતી. આખરે વડોદરામાં છાણી કેનાલ રોડ પર આવેલા પ્રિત પાર્ટી પ્લોટ તથા અન્ય મળીને બે જગ્યાઓ પર અરવિંદ કેજરીવાલના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રિત પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ઉભી કરવામાં આવેલી દીવાલ તોડવા માટે પાલિકાનું તંત્ર બુલ્ડોઝર લઇને પહોંચ્યું હતું. સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. પાલિકાનું લશ્કર આવી પહોંચતા જ આમ આદમી પાર્ટીના વિરેન રામી, સ્વેજલ વ્યાસ સહિતના અગ્રણીઓ અને કાર્યકરો આવી પહોંચ્યા હતા. કેજરીવાલના કાર્યક્રમ માટે સ્થળ આપવામાં આવતા કોર્પોરેશનના સત્તાધારી ભાજપ દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે. હાલ સ્થળ પર પોલીસ, પાલિકા તંત્ર અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર છે. આપ દ્વારા દિવાલ તોડવાની કામગીરીનો પ્રચંડ વિરોધ કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહેલી આ કાર્યવાહીના રાજકીય મોરચે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તે સાથે વડોદરા શહેરમાં પણ પાલિકાની આ કામગીરી ચર્ચાનો વિષય બની હતી. કોઇ પણ જાતની નોટીસ આપ્યા વગર પાલિકાની દબાણ શાખા દબાણ દૂર કરવામાં આવી છે. અમારા પાર્ટી પ્લોટમાં કોઇ ગેરકાયદે બાંધકામ નથી. પરંતુ, મેં આમ આદમી પાર્ટીને કાર્યક્રમ માટે પ્લોટ આપતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. પાર્ટી પ્લોટના માલિકે નોટિસ અંગે પ્રશ્ન ઉઠાવતા પાલિકા દ્વારા નોટિસ આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.


