અમદાવાદ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને હવે થોડા જ દિવસોમાં આચાર સંહિતા લાગવાની સંભાવના છે. જેને લઇને કેન્દ્રીય મહાનુભાવોના ગુજરાતના પ્રવાસો પૂરજાેશમાં ચાલી રહ્યા છે. હજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે જ એટલે કે ૧૧ ઓક્ટોબરે જ પોતાનો ગુજરાત પ્રવાસ પતાવીને ગયા છે. ત્યાં ફરી થોડા જ દિવસમાં તેમના ગુજરાત ફરી આવવાના કાર્યક્રમ બની ગયા છે. આચાર સંહિતા લાગુ પડે તે પહેલા ભાજપ પોતાના તમામ લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો પતાવી દેવા માગે છે. ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ ઓક્ટોબરે ફરી ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૦ ઓક્ટોબરે કેવડીયાની મુલાકાતે આવવાના છે. ૨૦ ઓક્ટોબરે કેવડીયામાં ભારતના રાજદૂતોની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વડાપ્રધાન મોદીની સાથે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ પણ કેવડીયા મુલાકાતે આવશે. તે ૨ દિવસીય કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયની પણ મુલાકાત લેશે. કેન્દ્રિય વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર આ કોન્ફરન્સમાં હાજર રહેશે. આ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણને લગતા એક મહત્વના પ્રોજેક્ટની શરૂઆત કરાવશે. જાે કે આ કાર્યક્રમ કેન્દ્ર સરકારનો કાર્યક્રમ છે. તેથી આ કાર્યક્રમમાં રાજકીય રંગ જાેવા નહીં મળે. આ કાર્યક્રમમાં ભારતના રાજદુતો રહેવાના છે. જાે કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન કોઇ વિશેષ સંદેશ આપી શકે છે. કારણકે તેમાં સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય મોદી ૧૯ ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે. ૧૯ ઓક્ટોબરે રાજકોટમાં મોદીનો રોડ શો યોજાશે. રાજકોટ એરપોર્ટથી રેસકોર્ષ સુધી મોદીનો રોડ શો યોજાશે. ઉપરાંત મોદી રાજકોટવાસીઓને વિકાસની ભેટ પણ આપશે. રાજકોટમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધશે.