અમરેલી
દેશના પ્રથમ ગૃહમંત્રી, રાષ્ટ્રની અખંડિતતા અને એકતાના હિમાયતી તથા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ દિન નિમિત્તે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીના ઉપલક્ષમાં પ્રતિ વર્ષ ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવે છે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘રાષ્ટ્રીય એકતા દોડ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, શાંતિ, સલામતી અને ભાઈચારાના સંદેશના પ્રસાર માટે યોજાતી ‘એકતા દોડ’ ની પૂર્વે મૌન પાળીને, રવિવારે રાજ્યના મોરબીમાં થયેલી દુર્ઘટનામાં અવસાન પામનારા હતભાગીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. દોડમાં સહભાગી થયેલા જિલ્લાના અધિકારીઓ પોલીસકર્મીઓ, કર્મચારીઓ, નાગરિકો સહિત તમામે બે મિનિટનું મૌન પાળ્યું હતું. અમરેલી જિલ્લા એકતા દોડને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ વડા હીમકર સિંઘે પ્રસ્થાન કરાવ્યુ હતું. અમરેલી જિલ્લા પોલીસ પરેડ મેદાનથી પ્રસ્થાન થતાં નગરના રાજકલમ ચોક થઈ ફરી પોલીસ પરેડ મેદાન પર ‘એકતા દોડ’નું સમાપન થયું હતું. કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, અમરેલીના નાગરિકો સહભાગી થયા હતા.


