ઉના તાલુકાના સનખડા ગામના રૂટની એસટી બસ છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ થતા ૨ થી ૭ કિ.મી.દૂર સુધી છાત્રો અને ગામ લોકોને પગપાળા ભાવનગર હાઇવે પર આવેલ ગાંગડા ગામ સુધી જવું પડતુ હતું. અને અંગેનો દિવ્યભાસ્ક અખબારી અહેવાલ પ્રસિધ્ધ થયેલ હતો. જેનો પડધો પડતા એસટી તંત્રની આંખો ખુલી ગઇ હોય તેમ ગુરૂવારે ઉના-સનખડા રૂટની એસટી બસ શરૂ કરવામાં આવી હતી. અને વહેલી સવારે સનખડા ગામે બસ પહોચતા છાત્રોમાં ખુશી જોવા મળી હતી.
સનખડા રૂટની એસટી બસ અગાઉ વહેલી સવારે ગામમાં આવતી જતી હતી. પરંતુ અચાનક બંધ કરી દેતા છાત્રોને તેમજ આજુબાજુના ગામના લોકોને ખાનગી વાહનમાં વધુ ટીકીટ ભાડા ખર્ચીને જવું પડતુ હતું. અને સનખડા તેમજ ખત્રીવાડા ગામમાં કોઇ વાહન ન મળે તો ૨ થી ૭ કિ.મી. સુધી પગપાળા હાઇવે રોડ પર ફરજીયાત જવું પડતુ હતું. તેમાં છાત્રોને નાછુટકે રોજીદા અવર જવર કરવી પડતી હતી. અને હાઇવે પરથી ખાનગી વાહનનો સહારો લેવો પડતો હતો. જે આજે એસટી શરૂ થતાં છાત્રો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયેલ હતો. જોકે બસ તો શરૂ થઇ ગયેલ પરંતુ અગાઉની જેમ માત્ર નામ પુરતી એક બે દિવસ પુરતી સુવિધા આપવામાં આવી છેકે ફરી બંધ કરી દેવાશે તે જોવાનું રહ્યું..


