સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
હા, વળી પાછી શાકમાર્કેટ નાવલી નદીનાં પટમાં. આ ફૂટબોલની માફક ફરતી શાકમાર્કેટ માટે કોઈ યોગ્ય હાઈજેનિક આરોગ્યપ્રદ સ્થાન મળશે ખરું? કે પછી એમને એમ..!! હા સાવરકુંડલા શહેરની જો કોઈ વિશિષ્ટતા ગણીએ કે મજબૂરી અહીં શાકમાર્કેટ આ કોરોના કાળથી શરૂ કરીને આજ સુધી બિલાડીના બચ્ચાંની માફક ફંગોળાતી રહી છે. માત્ર શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા લોકોની આજ કરૂણ કહાની છે. થોડાં સમય શહેરનાં મધ્યમાંથી પસાર થતાં રસ્તાનાં કાંઠે બેસતી આ શાકમાર્કેટ વળી પાછી નદીનાં પટમાં ખસી છે. એટલે હવે લોકોએ નદીનાં પટમાં શાકભાજી લેવા જવું પડશે. જો વળી કમોસમી વરસાદ થશે તો આ શાકભાજી વિક્રેતાઓની કફોડી હાલત થશે. આમ ચોમાસા અને કમોસમી વરસાદ વચ્ચે લોકો અને શાકભાજી વિક્રેતા માટે કોઈ સુચારું સ્થાન હોય તો શાકમાર્કેટનો કાયમી ઉકેલ આવી શકે. આમ તો આ શાકમાર્કેટનો પ્રશ્ર્ન તો વર્ષો પુરાણો છે. સત્તાધીશો સમક્ષ અવારનવાર આ શાકમાર્કેટને કોઈ યોગ્ય આરોગ્યપ્રદ સ્થાન શોધી શાકમાર્કેટનું નિર્માણ કરવા માટે વર્તમાનપત્રો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. શું સાંપ્રત સત્તાધીશો લોકોનું સપનું સાકાર કરશે?


