નવીદિલ્હી
મોહાલી બ્લાસ્ટ મામલામાં ધરપકડ કરાયેલા તરનતારનના ગામ કુલ્લા પટ્ટી નિવાસી નિશાન સિંહે બે આતંકીઓને રોકેટ પ્રિપેયર્ડ ગ્રેનેડ આપવાની વાત કબૂલ કરી લીધી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે નિશાને કબુલાત કરી છે કે બન્ને આતંકીઓને તેણે આરપીજી ઉપલબ્ધ કરાવ્યા હતા. આ પૂછપરછ દરમિયાન નિશાન સિંહે ખુલાસો કર્યો કે તેણે તરનતારન અને અમૃતસર વચ્ચે ત્રણ લોકોને આરપીજી સોંપી હતી. તે ત્રણ લોકો કોણ હતા તે વિશે ખબર નથી. કોર્ટે નિશાન સિંહને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. તમને જણાવી દઈએ કે બુધવારે પોલીસે આતંકીઓને અમૃતસરમાં આશરો આપવાના આરોપમાં નિશાન સિંહ અને તેના સાળા સોનૂ સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી હતી. પોલીસને એ વાતની શંકા હતી કે બન્ને આતંકીઓને આરપીજી આપનાર નિશાન સિંહ જ છે. નિશાન સિંહનું નામ બી શ્રેણીના અપરાધીઓની યાદીમાં નોંધાયેલ છે. તેના પર ફરીદકોટ, તરનતારન, મોગા, અમૃતસર અને ગુરદાસપુરમાં હત્યાના પ્રયત્ન અને હેરોઇન તસ્કરીના કેસ નોંધાયેલ છે. ચાર વર્ષ જેલમાં રહેલો આરોપી નિશાન ૧૮ એપ્રિલે જ જામીન પર ફરિદકોટ જેલથી બહાર આવ્યો હતો. જ્યારે જગરુપ સિંહ ૨૫ દિવસ પહેલા પેરોલ પર આવ્યો હતો. તરનતારનના ગામ કુલ્લા પટ્ટીના નિશાન સિંહ, તેના સાળા સોનુ અને જગરુપ સિંહની સખત પૂછપરછ કરી તો નિશાને આતંકીઓને આરપીજી આપવાની વાત સ્વીકારી લીધી હતી. જગરુપ પર પોતાના ભાઇ ચઢત સિંહ સાથે ખેમકરમાં એક મંદિર કમિટીના પ્રધાનની હત્યાનો કેસ નોંધાયેલો છે. નિશાને પોતાના સાળા સોનુને બન્ને આતંકીઓને અમૃતસરમાં રોકાવવાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. જગરુપનું ગામ સરહદથી ચાર અને નિશાનનું ગામ સરહદથી ૪૦ કિમી દૂર છે. લશ્કર-એ-ખાલસા આતંકવાદી જૂથ ભારતમાં અશાંતિ ફેલાવવાના હેતુથી સોશિયલ મીડિયા દ્વારા લોકોને પોતાની ટીમમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ સંગઠન આતંકવાદી ગતિવિધિઓની યોજના બનાવવા માટે નવા ફેસબુક આઈડી દ્વારા લોકોને જાેડવાનો પ્રયાસ કરી રહ્યું છે.


