નવીદિલ્હી
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામેની સુપર ફોર મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા સામે સિરીઝ હાર્યા બાદ મારા ટેસ્ટ સુકાની પદ છોડવાના ર્નિણય બાદ ફક્ત પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જ મને મેસેજ કર્યો હતો. કોહલીએ એ લોકોને આડેહાથ લીધા હતા જેઓ ટીવી ઉપર ફક્ત મદદ માટે વાતો કરે છે પરંતુ મદદ માટે ક્યારેય કોઈએ સંપર્ક કરતા નથી. કોહલીએ ટી૨૦ કેપ્ટન પદ પણ જાતે જ છોડ્યું હતું પરંતુ તેને વન-ડેમાં સુકાની પદેથી હટાવવામાં આવ્યો હતો. કહોલીએ જાન્યુઆરીમાં ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો ર્નિણય જાહેર કરીને ધડાકો કર્યો હતો. કોહલીનો આ ર્નિણય આશ્ચર્યજનક હતો. ગત ૧૨ મહિનાથી ફોર્મને લઈને ટિકાકારોનો ભોગ બની રહેલા કોહલીએ ધોનીના ફોન અને તેની સાથે પોતાના વ્યક્તિગત સંબંધો અંગે મીડિયા સાથે વાત કરી હતી. કોહલીએ જણાવ્યું કે, મે જ્યારે ટેસ્ટ સુકાનીનું પદ છોડ્યું ત્યારે ફક્ત એક વ્યક્તિએ મને મેસેજ કર્યો હતો અને તે ધોની હતો. સંખ્યાબંધ લોકો પાસે મારો નંબર છે પરંતુ જે લોકો ટીવી પર પોતાનો મત આપતા હોય છે તે પૈકી એકપણ વ્યક્તિએ મને મેસેજ કર્યો નહતો. કોહલીએ કહ્યું કે, હું મારા પ્રથમ કેપ્ટન ધોનીનો ઘણો આદર કરું છું. જ્યારે કોઈ પ્રત્યે તમને લાગણી હોય અને આવું જ થતું હોય છે અને બન્ને તરફથી સુરક્ષાનો અહેસાસ થતો હોય છે. મે ક્યારેય ધોની સાથે અસુરક્ષિત હોવાનો અહેસાસ નથી કર્યો અને તે પણ મારી સાથે આવો અહેસાસ નથી કરતા. કોહલીએ કોઈનું નામ લીધું નહતું પરંતુ તેનો ઈશારો દિગજ્જ બેટ્સમેન સુનીલ ગાવસ્કર તરફ હોવાનું જણાયું હતું.

