નવીદિલ્હી
પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યા મામલે લોરેન્સ બિશ્નોઈ ગેંગના મહત્ત્વના મેબ્બર સચિન બિશ્નોઈ થાપનની અઝરબૈજાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. ભારત વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. પંજાબ પોલીસના જણાવ્યા અનુસાર, સચિને જ સિદ્ધુ મૂલેવાલાની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. તેમણે જ શૂટર્સને હથિયાર પહોંચાડ્યા હતા, સંપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો હતો. સચિન બિશ્નોઈ થાપન ઘણાં કેસમાં વોન્ટેડ આરોપી છે. તેની પર હત્યા, ખંડણી વગેરે જેવા કેસમાં પહેલેથી જ ફરિયાદ દાખલ છે. માનસા પોલીસે સિદ્ધૂ મૂસેલાવા હત્યાકાંડમાં પણ તેને આરોપી ગણાવ્યો છે. સચિન બિશ્નોઈએ ગઈ ૩ જૂને એક વીડિયો જાહેર કર્યો હતો. તેમાં તેણે સિદ્ધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. દિલ્હી પોલીસ અને પંજાબ પોલીસે વીડિયોમાં સચિન બિશ્નોઈનો જ અવાજ હોવાની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સંગમ વિહારના એડ્રેસ પર સચિને એક બોગસ પાસપોર્ટ બનાવ્યો હતો અને અજરબૈજાન ભાગવામાં સફળ રહ્યો હતો. દિલ્હી અને પંજાબ પોલીસે સચિન બિશ્નોઈ અઝરબૈજાન હોવાના અધિકારીઓના ઇનપુટ્સની પુષ્ટિ કરી હતી. પંજાબ પોલીસ અને વિદેશ મંત્રાલયે સચિનનું અઝરબૈજાનથી ભારત પ્રત્યાર્પણ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. વિદેશ મંત્રાલયે પંજાબ પોલીસને મોકલેલા પત્રમાં આરોપીનો ઇતિહાસ, વોરન્ટ અને પ્રત્યાર્પણમાં ઝડપથી કાર્યવાહી કરવા સહિત સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં તેની ભૂમિકાની જાણકારી પણ માગી છે. તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ લોરેન્સ અનમોલ બિશ્નોઈનું લોકેશન પણ ટ્રેસ થઈ ગયું છે. પંજાબ પોલીસે અધિકારીઓને જણાવ્યું હતું કે, અનમોલની ધરપકડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેને પણ સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડમાં માસ્ટમાઇન્ડ તરીકે બતાવવામાં આવ્યો છે. એઆઈજી ગુરમીત ચૌહાન અને ડીએસપી બિક્રમજીત બરાડની સાથે એડીજીપી પ્રમોદ બાનના નેતૃત્વમાં એન્ટિ ગેંગસ્ટર ટાસ્ફ ફોર્સે અનમોલ બિશ્નોઈનું લોકેશન ટ્રેસ કર્યું છે. તો બીજી તરફ, એટીજીએફ અને માનસા પોલીસે સચિન બિશ્નોઈ થાપનના પ્રત્યાર્પણ માટે દસ્તાવેજીકરણ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. સિદ્ધૂ મૂસેવાલાના હત્યાકાંડમાં સામેલ ૪ હત્યારાઓમાં સચિન અને અનમોલ પણ સામેલ છે. આ બંને હત્યાને અંજામ આપી બોગસ પાસપોર્ટ બનાવડાવી વિદેશ ભાગી ગયા હતા. આ સિવાય ગોલ્ડી બરાડ અને લિપિન નેહરા પણ આરોપીઓ છે. હાલ તેઓ કેનેડામાં છે. પોલીસ અધિકારીઓએ કહ્યુ હતુ કે, લોરેન્સ બિશ્નોઈએ ભાઈ અનમોલ અને નજીકના ગણાતા સચિનને બચાવવા માટે એક કાવતરા હેઠળ તેમના માટે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. રિજનલ પાસપોર્ટ ઓફિસ દિલ્હી દ્વારા આ પાસપોર્ટ બનાવવામાં આવ્યા હતા. અનમોલ સામે ૧૮ ગુનાઓના કેસ કરવામાં આવ્યા છે અને છેલ્લે તે જાેધપુર જેલમાં બંધ હતો. ત્યાંથી ૭ ઓક્ટોબર, ૨૦૨૧ના દિવસે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ રીતે સચિન સામે પણ ૧૨ ગુના દાખલ કરેલાં છે. ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની ૨૯ મે, ૨૦૨૨ની સાંજે માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.


