મંત્રીશ્રીના હસ્તે કેન્સરના નિદાન ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર ડોકટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામા આવ્યા
જામનગર તા.૩૦ એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને ઓરલ કેન્સર અવેરનેસ મન્થ-૨૦૨૨ અંતર્ગત આજે જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે ઓરલ કેન્સર અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓરલ કેન્સરની જાગૃતિ ફેલાવવાની સાથે અન્ય પ્રકારના કેન્સર બાબતે પણ માહિતી આપવામાં આવી હતી.
આ અવેરનેસ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ કેન્સર વિષેની ગંભીરતા અંગે વાત કરતા કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનામાં ઓરલ કેન્સરની જાગૃતિ માટેની કામગીરી થાય છે.કેન્સરએ ઘણો ગંભીર વિષય છે.રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે આપણે જે ખોરાક લઇએ છીએ તેનો પ્રભાવ આપણા શરીર પર પડે છે અને કેન્સર થવા માટેનું આ એક મોટુ કારણ કહી શકાય છે.કેન્સરએ એવો રોગ છે જેની કોઇ અકસીર દવા હજુ સુધી આખા વિશ્વમાં બની નથી એવામાં જામનગરના ડોકટરો, સેવાભાવી સંસ્થાઓ અને ઘણા વ્યક્તિઓ તાલુકા તેમજ ગામડાઓમાં જઇને કેન્સર અંગેની જાગૃતિ ફેલાવે છે.
આ તકે મંત્રીશ્રીએ સમાજમાંથી ઓરલ કેન્સર બને તેટલો ઓછો થાય તેમજ અગાઉથી નિદાન થાય તે માટેના પ્રયાસોમાં શામેલ ડોકટરો અને કોલેજના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યું હતું. જામનગર જિલ્લામાં ઓરલ કેન્સરના પ્રમાણમાં ઘટાડો થાય અને જેને કેન્સર થયેલ હોય તેમને પૂરી સારવાર મળે તેમજ સમયસર તેનું નિદાન થય જાય તેવી અપેક્ષા મંત્રીશ્રી દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે કેન્સરના નિદાન ક્ષેત્રે યોગદાન આપેલ ડોકટરોને એવોર્ડ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન ડો.નંદનીબેન દેસાઇ, ડો.ધર્મેશભાઇ વસાવડા, ડેન્ટલ કોલેજના ડીન ડો.નૈનાબેન પટેલ, સૌરાષ્ટ્રા યુનિવર્સિટિ મેડિકલ ફેકલટીના ડીન ડો.વિજ્યભાઇ પોપટ, આયુર્વેદ યુનિવર્સિટિના ડીન, ડો.ભરતભાઇ અગ્રાવત, ડો.હર્ષાબેન અગ્રાવત, ભરતભાઇ બોરસદિયા તેમજ એમ.પી.શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
