રાજકોટ
રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ગર્ભવતી ઉર્મિલાને તેનો પતિ મનસુખ ઉર્ફે ટીનો જાદવ ૮ ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ લઈ ગયો હતો. ત્યારબાદ ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો હતો. અહીં મનસુખે ઉર્મિલા પર આડેધડ છરીના ઘા વડે હુમલો કરી હત્યા નીપજાવી નાંખી હતી. જાેકે રાજકોટની આજીડેમ પોલીસે આરોપી મનસુખની ધરપકડ કરી છે. મનસુખ અગાઉ ૫ વખત દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. તેમજ એકવાર પાસા હેઠળ પણ ધકેલાયો હતો. ૯ ફેબ્રુઆરીના રોજ ઉર્મિલાની માતા ભાવનાબેન ભુપતભાઇ સોલંકીએ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ આવી અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, મારી દીકરી ઉર્મિલાના પતિ મનસુખ જાદવનો ૮ ફેબ્રુઆરીના રોજ બપોર પછી રોજ સંપર્ક થયો નથી. તેમજ તે ઘરે પણ આવ્યા નથી. આ અંગેની અરજી નોંધી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ પરમારને સોંપી હતી. આ અરજીનાં કામે સામાવાળો શખસ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોય તથા અરજદાર દ્વારા કંઇ ગુનાહિત બની શકવાની આશંકા વ્યક્ત થયેલ હોય પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જેસીપી ખુરશીદ અહેમદની સૂચના મુજબ આજીડેમ પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે.ચાવડાએ પ્રાથમિક રીતે જ તપાસને ગંભીરતાથી લઇ ઉર્મિલા અને મનસુખને શોધી કાઢવા માટે આજીડેમ પોલીસની ટીમો દ્વારા વર્કઆઉટ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ૧૧ ફેબ્રુઆરીના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનના એએસઆઈ જાવેદભાઈ રીઝવી અને હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ પરમારને બાતમી મળતા મનસુખ આજીડેમ ચોકડી પાસેથી મળી આવ્યો હતો. આથી મનસુખને પોલીસ સ્ટેશન લાવી અરજી પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આજથી એકાદ માસ પહેલા તેની પત્ની ઉર્મીલાને તેના કોઇ વ્યક્તિ સાથે જાેઇ જતા અને તેમની વચ્ચે અનૈતિક સંબંધ હોવાનો વહેમ જતાં તેને બીજા પુરુષો સાથે સંબંધ નહીં રાખવા ચેતવણી આપી હતી. તેમ છતાં ઉર્મિલાનાં વર્તનમાં ફેરફાર જણાયો નહી. મનસુખ દ્વારા ઉર્મિલાને વારંવાર સમજાવવામાં આવી હતી. આથી મનસુખનો ઉર્મિલા પ્રત્યેનો દ્વેષ ઉત્તરોત્તર વધતો ગયો હતો. ૮ ફેબ્રુઆરીના રોજ સવારના સમયે મનસુખે પોતે ઉર્મિલાને ફોન કરી જૂનાગઢ દારૂ લેવા જવાનો હોવાથી બસ સ્ટેશન ખાતે બોલાવી હતી. અહીંથી બંને એસ.ટી. બસ મારફત જૂનાગઢ પહોંચી ગયા હતા. અહીં ભવનાથ તળેટીમાં આવેલી દરગાહ ખાતે દર્શન કરી બંને ચાલતા ચાલતા જંગલમાં ગયા હતાં. ત્યાં આગળ વાતચીત દરમિયાન મનસુખે ઉર્મિલાને પરપુરુષો સાથે કોઇ પણ પ્રકારનાં સંબંધો નહીં રાખવા કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આથી રોષે ભરાયેલા મનસુખે ઉર્મિલાને પોતાની પાસે રહેલી છરીનાં પાંચથી છ ઘા મારી તેની હત્યા નીપજાવી હતી. ત્યારબાદ તે રાજકોટ આજુબાજુના ગ્રામ્ય વાડી વિસ્તારમાં નાસતો ફરતો હતો. મનસુખે જણાવેલી હકિકતથી સિનીયર પોલીસ અધિકારીઓને વાકેફ કરતાં હકિકતની ખરાઈ કરવા એક ટીમ બનાવી હતી. આરોપી અને અરજદારને સાથે રાખી આરોપીએ જણાવેલી અતિ દુર્ગમ જગ્યાએ જૂનાગઢ ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંગલમાં આશરે બે કિલોમીટર અંદર જઈ જાેતાં ત્યાં મરણ જનાર ઉર્મિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને તેમના માતા અરજદાર ભાવનાબેન સોલંકીએ ઓળખી બતાવ્યો હતો. આથી રાજકોટ શહેર આજીડેમ પોલીસ ટીમ દ્વારા ગુનાવાળી જગ્યા જૂનાગઢ જિલ્લાનાં ભવનાથ પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર હોય સ્થાનિક પોલીસનો સંપર્ક કરી ભાવનાબેનની ફરીયાદ લઈ ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ૩૦૨ મુજબ ગુનો દાખલો કર્યો હતો અને આરોપીને સોંપ્યો હતો.


