ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહિલાલક્ષી પોલીસ સેવાઓ વિશે અપાયું માર્ગદર્શન
ગિરગઢડા
ભરત ગંગદેવ.
શાળાના બાળકોમાં સારા અને ખરાબ સ્પર્શ અંગે સમજ આપવા તેમજ જાગૃતી લાવવાના હેતુથી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાભરની વિવિધ શાળાઓમાં ‘સમજ સ્પર્શ કી’ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓને ‘ગુડ ટચ અને બેડ ટચ’ વિશે તેમજ મહિલાલક્ષી પોલીસ સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી સમજાવવામાં આવ્યું હતું.
મહિલા પોલીસ સ્ટેશન દ્વારા જિલ્લાભરની શાળા અને એકેડમીમાં કુલ 800 જેટલી વિદ્યાર્થીનીઓને હાલના સમયમાં સતર્ક કેવી રીતે રહી શકાય, સેલ્ફ ડિફેન્સ વિશેની સમજ તેમજ જરુરી કાયદાકિય માર્ગદર્શન તથા મહિલા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર ડો.અનસુયા વરચંદ દ્વારા મહિલાલક્ષી પોલીસ સેવાઓ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, કુમળી વયે બાળકો સારા અને નરસા વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી. બાળકોને અમુક ઉંમર સુધી સારા કે ખરાબ સ્પર્શ(ગુડ ટચ, બેડ ટચ)ની સમજ હોતી નથી. જેથી બાળપણથી જ બાળકોને જો આ બાબત અંગે માહિતી આપવામાં આવે તો આવી અઘટિત પરિસ્થિતિઓને ટાળી શકાય છે.


