Gujarat

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ  ખાતે વંદે ગુજરાત રથ યાત્રાનું દબદબાભેર સ્વાગત કરાયું 

છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ખાતે આવેલી હાઇસ્કૂલમાં આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પણ વિકાસની પ્રક્રિયા તેજ બને એ માટે અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે. જેનું તાજુ ઉદાહરણ તેજગઢ અને રાયસિંગપુરા વચ્ચે બનેલો પુલ છે એમ જણાવી ૧૦૮ની સેવા, ખિલખિલાટ વાન જેવી સેવાઓ અંગે જણાવી તેમણે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંગે જાણકારી આપી સગર્ભા બહેનોને પોષણ મળી રહે એ માટે બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક કિલો ખાદ્યતેલની સહાય આપવામાં આવતી હોવાનું જણાવી તેમણે કોવિડ કાળમાં સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતે જાણકારી આપી હતી.
તાલુકા વિકાસ અધિકારી ચૌધરીએ ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, વણથંભી વિકાસયાત્રામાં આપણને સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો છે એ જેનો લાભ લેવો જોઇએ એમ જણાવી તેમણે છેલ્લા બે દાયકાની આ અવિરત વિકાસયાત્રાને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પુરઝડપે આગળ ધપાવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રૂપિયા પાંચ લાખના બે કામોનું લોકાર્પણ અને રૂપિયા સાત લાખના ત્રણ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મહનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઇ નાયકા, સામાજીક ન્યાય અને અધિકારિતા સમિતિના ચેરમેન આકાશભાઇ ચૌહાણ, તેમજ અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

06-07-2022_-tejgadh-vande-gujrat-vikas-yatra-7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *