સાંસદ વસાવાના નિવેદનથી ગુસ્સે ભરાયેલા જેતપુર કર્મચારીઓ પણ રજા ઉપર રહ્યા
ભરૂચમાં રેતી ચોરીની બાબતે સાંસદ મનસુખ વસાવના મામલતદાર સાથેના ગેરવર્તન અને અપશબ્દો બોલવાનો મામલો ભારે ગરમાયો છે. હજુ પણ વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો અને જેતપુર તાલુકામાં પણ આ વિવાદના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.
આ મામલે જેતપુર મામલતદાર સહિતના કર્મચારીઓએ વિરોધ દર્શાવ્યો છે. મામલતદાર, મહેસુલ અધિકારીઓ સહિતના અનેક કર્મચારીઓએ માસ સીએલ પર ઉતરી મનસુખ વસાવાના ગેર વર્તનનો વિરોધ કર્યો છે તેમજ આકરી નિંદા કરી રજા પાળી હતી
રાજ્ય મહેસુલી કર્મચારી સંઘમાં આ બાબતને લઈને રોષ ફેલાયેલો છે અને સમગ્ર જેતપુર તાલુકામાં મામલતદારથી લઈને રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી કામથી અળગા રહ્યા હતા લોકોના કામો અટવાઈ પડ્યા છે. અનેક લોકો હાલ કચેરીઓના ધક્કાઓ ખાઈ પરત ફર્યા હતા કર્મચારીઓ રજા પર હોવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ હાલ કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ મનસુખ વસાવા સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
ઘટનાની વિગતો પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ પાસે રેતી ભરેલા ડમ્પરના કારણે 3 લોકોના મોત થયા હતા. કેન્દ્રના પૂર્વ મંત્રી અને સાંસદ મનસુખ વસાવાએ સ્થળ પર પહોંચીને અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે દરમિયાન ગુસ્સે થઈને બિભત્સ વર્તન કર્યું હતું. આ સાથે જ અધિકારીઓ હપ્તા લે છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.
હરેશ ભાલીયા જેતપુર


