આણંદ
તારાપુર તાલુકાના પચેગામમાં રહેતી પરિણીતાએ પખવાડિયા પહેલા પોતાની સાસરિમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગેની તપાસમાં સાસરિયાના ત્રાસથી ગળેફાંસો ખાધો હોવાનું ખુલતાં પોલીસે ત્રણ સામે ગુનો વધુ તપાસ હાથ ધરી છે. માતરના ચાનોર ગામે ઇન્દીરાનગરીમાં રહેતા સલીમખાન ગુલાબખાન પઠાણની દિકરી મુસ્કાનબહેન (ઉ.વ.૨૪)ના લગ્ન સાડા ચારેક વર્ષ અગાઉ પચેગામમાં રહેતા અનવર અબ્બાસ સંધી સાથે થયાં હતાં. મુસ્કાનબહેન પચેગામ ખાતે સાસરીમાં રહેતાં હતાં. આ લગ્નજીવનમાં તેમને એક દિકરી અને દિકરાનો જન્મ પણ થયો હતો. જાેકે, આ લગ્નના બે જ માસમાં સાસરિયાએ તેને અવાર નવાર મ્હેણાં ટોણાં મારતા અને આજુબાજુમાં કોઇના ઘરે બેસવા પણ જવા દેતા નહીં. આ બાબત જ્યારે તેના પતિને જણાવી ત્યારે તેનો પતિ તેના માતા – પિતાનું ઉપરાણું લઇ મુસ્કાનબહેનને મારઝુડ કરવા લાગ્યો હતો. આ અંગે આખરે પિયરમાં પણ જાણ કરી હતી. ચારેક વખત મુસ્કાનબહેન રિસાઇને પિયર પણ આવતાં રહ્યાં હતાં. પરંતુ સંતાનમાં બે બાળકો હોવાથી તેનું ભવિષ્ય ન બગડે તે માટે સગા સંબંધીઓ સમજાવીને તેને પરત સાસરીમાં મોકલતાં હતાં. આ સમાધાનના કારણે કોઇ પોલીસ કેસ પણ કર્યો નહતો. દરમિયાનમાં ૪થી ડિસેમ્બરના રોજ સવારના મુસ્કાને તેના ઘરે ફોન કરી જણાવ્યું હતું કે, અનવરને કોઇ અન્ય યુવતી સાથે આડો સંબંધ છે. જેથી મારી સાથે ઝઘડો કર્યો છે અને મને મારી છે. જાેકે, થોડા સમય બાદ ફરી ફોન કરતાં પચેગામના ઐયુબે ફોન ઉપાડ્યો હતો અને જણાવ્યું હતું કે, તમારી દિકરીએ ગળેફાંસો ખાઈ લીધો છે. તમે જલ્દી આવો. જેથી સલીમખાન તાત્કાલિક પરિવાર સાથે પચેગામ પહોંચ્યાં હતાં. આ અંગે અનવરને પુછતાં જણાવ્યું હતું કે, મુસ્કાનને કંઇક થઇ ગયું છે અને ઉબકા આવે છે. તેને તારાપુર દવાખાને લઇ જઇએ છીએ. આ વાતમાં શંકા જતા અનવરના મામા ઐયુબભાઈ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મુસ્કાને ગળેફાંસો ખાઈ લીધો છે અને તે મૃત્યું પામી છે. તેને તારાપુર દવાખાને લઇ જવા આવી છે. આથી, સલીમભાઈ પરિવાર સાથે તારાપુર દવાખાને પહોંચ્યાં હતાં. જાેકે, તે સમયે અનવર ત્યાંથી ભાગી ગયો હતો. જ્યારે સાસરિયા પણ ત્યાં હતાં નથી. આમ, સાસરિયાના ત્રાસથી મુસ્કાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે તારાપુર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અનવર અબ્બાસ સંધી, અબ્બાસ ઇસ્માઇલ સંધી અને જેતુનબહેન અબ્બાસ સંધી (રહે. તમામ પચેગામ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


