જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત લોકો હવે કુદરતી નિઃશુલ્ક ગેસ મેળવી શકશે. ગ્રામ્ય વિસ્તારમાં બે કે તેથી વધુ પશુધન ધરાવતા કુટુંબો આ યોજનાનો લાભ લઇ શકશે.
જૂનાગઢ જિલ્લાના ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત હાલ ગોબરધન પ્રોજેક્ટ ની શરૂઆત કરવામાં આવેલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓના વિકાસ માટે ગ્રામ વિકાસ વિભાગ હંમેશા કટિબદ્ધ છે. ગામડાઓ સમૃદ્ધ બનાવવા માટે સરકાર અનેકવિધ પ્રયાસો હાથ ધરી રહી છે. સરકારશ્રી દ્વારા ગોબરધન પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેનો સીધો લાભ ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા બે કે તેથી વધુ પશુધન ધરાવતા કુટુંબોને આપવામાં આવે છે. લાભાર્થી રૂ. ૫ હજારનો લોક ફાળો ભરી આ યોજનાનો લાભ લઇ શકશે. ગોબરધન યોજના થી લાંબા સમય સુધી કુદરતી નિઃશુલ્ક રાંધણ ગેસ મેળવી શકાય છે. આમ આ કુદરતી ગેસ સંપૂર્ણપણે સુરક્ષિત અને સલામત છે.
ગોબરધન પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ટીમ દ્વારા માંગરોળ, મેંદરડા અને જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોમાં મુલાકાત લઈ ગ્રામજનોને ગોબરધન પ્રોજેક્ટનો વધુમાં વધુ લાભ લેવા માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ બાકીના રહેતા તાલુકાઓમાં આગામી સમયમાં કાર્યક્રમો કરી લોકોને માહિતગાર કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લામાં આ પ્રોજેક્ટ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાની ટીમ જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ડીઆરડીએના નિયામકશ્રીના માર્ગદર્શન હેઠળ હાલ કામગીરી કરી રહી છે.

