નવસારી
મહાશિવરાત્રી એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર ગણાય છે. ભગવાન ભોળાનાથની આરાધના માટેનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. વર્ષમાં આવતી બાર શિવરાત્રીઓમાંથી મહાશિવરાત્રીનું અનેરૂ મહત્વ છે. બિલીમોરામાં આવેલા મીની સોમનાથ દાદા ભક્તોના દુઃખ દૂર કરે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોરોનાને કારણે સરકારી નિયંત્રણોની સાંકળ હતી, જે હવે મહામારીનો કહેર ઘટતાં દૂર થવા પામી છે. ગીર સોમનાથની જેમ બિલીમોરા મંદિરમાં પણ શિવજી સ્વયંભુ શિવલિંગ સ્વરૂપે બિરાજે છે. બે વર્ષ બાદ કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા આજે શિવાલય ભક્તોથી ગુંજી ઉઠ્યુ હતું. બીલીમોરામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તો શિવમય થયા હતા.મહાશિવરાત્રી એટલે ભગવાન શિવની ઉપાસના કરવાનો એક પાવન તહેવાર. નોંધનીય છે કે ગીર સોમનાથ ખાતે આવેલા સોમનાથ મંદિરનો ઇતિહાસ અને મહાત્મ્ય ઉજળું છે. પરંતુ દક્ષિણ ગુજરાતના બિલીમોરામાં આવેલા મીની સોમનાથ મંદિરમાં છેલ્લા ૧૦ દાયકાઓથી પણ વધુના સમયથી આ મંદિરમાં ભક્તો દૂરદૂરથી આવીને માથું ટેકવે છે અને આ મંદિરનું સૌંદર્ય શિવરાત્રીમાં બમણું થાય છે.


