Gujarat

મહિલાઓ અને બાળકોને પરંપરાગત ખોરાક અપનાવવા અનુરોધ કરતા નાંદોદ તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી

પોષણ માસની નર્મદા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી થઈ રહેલી ઉજવણી
———–
               પોષણ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન પોષણ માસ” ની ઉજવણી કરવામાં આવશે. જેને અનુલક્ષીને આઈ.સી.ડી.એસ. કચેરી-દેડીયાપાડા ખાતે નાંદોદ તાલુકાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરીની અધ્યક્ષતામાં સશક્ત મહિલા, સાક્ષર બાળક અને સ્વસ્થ માતાની થીમને ચરિતાર્થ કરવા અંદાજિત ૧૫૦ જેટલી આંગણવાડી કાર્યકરોની ઉપસ્થિતિમાં “આદિવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક”ની થીમ પર આંકણવાડી કાર્યકરોએ સ્થાનિક કક્ષાએ બનાવવામાં આવતી પૌષ્ટીક અને પરંપરાગત વાનગીઓનું નિદર્શન યોજીને પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી.
               દેડિયાપાડા ખાતે આયોજિત “મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, જાતિગત સંવેદનશીલતા, જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન, આદિજાતિ વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક”ની થીમ આધારિત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા નાંદોદ તાલુકાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે આપણે સૌએ ‘ટ્રાયબલ ફૂડ’ પદ્ધતિ અપનાવવી તેને આગળ લાવવાની જરૂર છે. આજે શહેરો પણ ગામડાંઓ તરફ વળી રહ્યાં છે. ગામડાના લોકો પોષ્ટિક આહાર જ લે છે, પરંતુ ખાવાની પદ્ધતિમાં બદલાવ લાવી લોકોને શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કરવા તેઓશ્રીએ અનુરોધ કર્યો હતો. તદ્ઉપરાંત મહિલા-બાળકોમાં કુપોષણના પ્રમાણને ઘટાડવાના સઘન પ્રયત્નો હાથ ધરી બહેનો દ્વારા આંગણવાડી કક્ષાએ મહિલા-બાળકો માટે પોષણક્ષમ આહાર અંગે પણ તેઓશ્રીએ જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
             વધુમાં શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરીએ ગામના સરપંચશ્રી, વોર્ડના સભ્યો, ગામના આગેવાનો સહિત ઉત્સાહભેર જનભાગીદારી સાથે લોકોને પોષણ અને આરોગ્યની સેવાઓ અંગે જાગૃત કરવા “પોષણ પંચાયત” ઉપર ભાર મુકી પોષણ અને આરોગ્યના અર્થપૂર્ણ સંદેશાઓ લોકો સુધી પહોંચાડવા ઉપસ્થિત આંગણવાડી બહેનોને ખાસ અનુરોધ કર્યો હતો.
              દેડીયાપાડાના બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી નિલમબેન સી. ગામિતે પણ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત આંગણવાડીના બહેનોને પોષણક્ષમ આહાર વિશે માહિતગાર કરતાં જણાવ્યું હતું કે, સૌથી વધુ પોષક તત્વો બાફેલી વાનગીઓમાં હોય છે. જ્યારે તળેલી વાનગીઓ પચવામાં પણ મુશ્કેલ હોય છે. વધુમાં તેઓએ પોષણ અભિયાન અંતર્ગત તમામ આંગણવાડીની બહેનોને એક પણ બાળક પોષકતત્વો યુક્ત આહારથી વંચિત ન રહી જાય તેની ખાસ કાળજી લેવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ વિકાસ એકમ નર્મદાના યુનિસેફ ન્યુટ્રીશન કન્સલટન્ટ શ્રીમતી રાધિકાબેન કાપસે સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *