જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે નારી વંદન ઉત્સવ અને વિશ્વ સ્તનપાન સપ્તાહની અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયા અને મેયર શ્રીમતિ ગીતાબેન પરમારના સંયુક્ત અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગંગા સ્વરૂપા આર્થિક સહાય, વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન સહાયના પ્રતિકાત્મક વિતરણથી સાથે બહેનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ શાંતાબેન ખટારિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર નારી વંદન ઉત્સવ દ્વારા મહિલાઓને સન્માનવા અને બિરદાવવાનો વિશેષ ઉપક્રમ આદર્યો છે. મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર અનેક પ્રકલ્પો અમલમાં મુક્યા છે. પરંતુ ગુજરાત સરકારે સ્ત્રીઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦ ટકા અનામત આપી મહિલા સશક્તિકરણનો દેશમાં એક નવો રાહ કંડાર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, જિલ્લામાં દિકરી આગળ વધે અને તેમના સર્વાગી વિકાસ માટે જિલ્લામાં ૭૦૨૪ દિકરીઓને વ્હાલી દિકરી યોજનાનો લાભ આપવામાં આવ્યો છે. જેમાં તબક્કાવાર પ્રતિ લાભાર્થી દીઠ ૧.૧૦ લાખની સહાય આપવામાં આવશે. તેમજ જિલ્લાની ૨૪૮૪૬ ગંગા સ્વરૂપા બહેનોને રૂા.૮૩ કરોડ ઉપરાંતની સહાય ચૂકવવામા આવી છે. તેમ તેમણે અંતમાં ઉમેર્યુ હતું.
આ પ્રસંગે મેયર શ્રીમતિ ગીતાબેન પરમારે જણાવ્યું કે, રાજ્ય સરકારની નારી વંદન ઉત્સવની પહેલ મહિલાઓને આત્મનિર્ભતા અને સર્વાગી વિકાસ તરફ દોરી જશે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્વભાઇ મોદીના નેતૃત્વમાં મહિલા ઉત્કર્ષના અનેક કાર્યો થયા છે. જેના પગલે મહિલાઓ રમત-ગમતથી માંડી દરેક ક્ષેત્રમાં યોગદાન જોવા મળી રહ્યું છે. અંતમાં તેમણે પરિશ્રમ એ જ પારસમણીને જીવન મંત્ર બનાવી આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા.
સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઇ ખટારિયાએ જણાવ્યું કે, રાજ્ય સરકારે દિકરીઓ શિક્ષિત બને આર્થિક રીતે પગભર થાય તે માટે, બેટી બચાઓ, બેટી પઢાવો, સખીમંડળ સહિતના પ્રકલ્પો અમલમાં મુકવાની સાથે મહિલાના ઉત્કર્ષ માટે નવી પહેલો પણ કરી છે. સાથે દિકરીઓ જન્મને રોકવા માતાની કૂખમાં જ થતી હત્યા જેવી બદીઓને રોકવામાં તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી મોદીના પ્રયાસોના પરિણામ આજે આપણને જોવા મળી રહ્યા છે. એક સમયે બહેનોને ઘરમાંથી બહાર નીકળવામાં ખુબ સંકટોનો સામનો કરવા પડતો પરંતુ સખી મંડળની રચનાઓથી બહેનો આજે સ્વતંત્ર વ્યવસાય કરતી થઈ છે. આમ, મહિલાઓ દેશના-ગામડાઓના વિકાસમાં સહભાગી બની છે. આ સાથે મહિલાઓને નાસીપાસ થયા વિના સતત મહેનત કરવા ઉચ્ચ શિક્ષણ મેળવવા અનુરોધ કર્યો હતો. અંતમાં તેમણે મહિલાઓને મહિલા સ્વાવલંબન દિવસના અભિનંદન-શુભેચ્છા પાઠવી હતી.
કાર્યક્રમના પ્રારંભે મહિલા અને બાળ અધિકારી શ્રી જીગર જસાણીએ શાબ્દીક સ્વાગત અને અંતે દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એમ.જી.વારસુરે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સ્વરોજગાર મેળવી રહેલા કુ.મનસ્વી ઉનડકટ, કુ.રાઠોડ દેવાંશીબેન અને શ્રીમતિ પલ્લવીબેન બારૈયાએ પોતાના પ્રસંગોચિત પ્રતિભાવો રજૂ કર્યા.
આ પ્રસંગે બંટીયા પ્રે.સેન્ટર શાળાના શિલ્પાબેન મકવાણાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચણાકાના સ્વામી વિવેકાનંદ વિનય મંદિરના શિક્ષક મીરાબેન વૈષ્ણવે ઘેર-ઘેર જઇ બાળકોને શિક્ષણ આપવા બહુમાન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી કુ.જલ્પા ક્યાડા સહિતના અધિકારી-કર્મચારી અને મોટી સંખ્યામાં મહિલાઓ, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

