સુરેન્દ્રનગર
ઝાલાવાડમાં ખેતીની સાથે પશુપાલનના વ્યવસાય સાથે અનેક પરિવાર જાેડાયેલા છે. અને આથી જ જિલ્લામાં પશુપાલકો દુધ ઉત્પાદન કરી શ્વેત ક્રાંતી સર્જી રહ્યા છે. વર્તમાન સમયે જિલ્લામાં ખાસ કરીને ધ્રાંગધ્રા પંથકમાં પશુઓમા લંપી નામનો રોગચાળો ફેલાયો છે. અસરગ્રસ્ત પશુઓની સારવાર માટે જિલ્લાના પશુ ડોકટરો દોડધામ કરી રહ્યા છે. છતાં હજુ સુધી રોગ કાબુમાં આવ્યો નથી. આવા કપરા સમયે પશુ ડોકટરોની ઘટને કારણે સારવાર કરવી પણ મુશ્કેલ બની રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓની સારવાર માટે ૨૪ ડોક્ટરોનુ મહેકમ મંજૂર કરવામાં આવ્યુ છે. પરંતુ હાલ ૧૧જ પશુ ડોકટર દવાખાનાઓમાં હાજર છે. આમ સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩ ડોક્ટરોની જગ્યાઓ વર્ષોથી ખાલી પડી છે. બીજી બાજુ પશુ નિરીક્ષકોની ૧૭ જગ્યા મંજૂર કરવામાં આવી છે. તેની સામે ૧૩ પશુ નિરીક્ષક કામ કરી રહ્યા છે. તેમાં પણ ૪ જગ્યા ખાલી છે. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે જાેડાયેલા લોકોના મહામુલા ધન સમાન પશુઓને બિમારીના સમયે સારવાર માટે હાલાકીનો સામનો કરવો પડે છે. આમ સરકાર દ્વારા સરકારી પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો બનાવવામાં આવે છે. પરંતુ પશુ ચિકિત્સકની ભરતી તરફ ધ્યાન ન આપવામાં આવતા જિલ્લાનું પશુ ધન રામ ભરોસે સારવાર લઇ રહ્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓને પુરતી સારવાર માટે પશુ ચિકિત્સક અને પશુ નિરીક્ષકની જગ્યા ખાલી અંગે જાણ કરાઇ છે. જ્યારે હાલ દરેક તાલુકામાં એક પશુ ચિકિત્સક છે, લખતરમાં નથી ત્યાં વઢવાણના પશુ ચિકિત્સકને ચાર્જ સોંપાયો છે. ચોમાસામાં પશુઓને બિમાર વધુ પડતા હોય છે, માટે ટીમ તૈયાર રહે છે. કોંઢ ગામે પશુઓના લીધેલા સેમ્પલ પોઝિટિવ આવતા હાલ પશુ ચિકિત્સક અને ટીમ સતત ગામમાં કાર્યરત છે.લમ્પીની રસી ન શોધાઇ હોવાથી ઘેટા બકરાને આપવામાં આવતી અછબડાની રસી પશુઓને આપીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લામાં પશુઓને ઘર આંગણે સારવાર માટે ૨૦ મોબાઇલ વાન કાર્યરત કરાઇ છે. જેમાં એક પશુ ડોકટર અને પાઇલોટની ટીમ ૧૯૬૨માં કોલ આવે ત્યાં જઇ પશુઓને સારવાર આપે છે. જેમાં ચોટીલામાં ૩, ચૂડા ૧, દસાડા ૩, ધ્રાંગધ્રા ૨,લખતર ૧, લીંબડી ૧, મૂળી ૨, સાયલા ૩, થાન ૧, વઢવાણ ૩ પશુ સારવાર મોબાઇલ વાન કાર્યરત કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ૧.૫૦ લાખથી વધુ લોકો પશુપાલનના વ્યવસાય થકી રોજી રોટી મેળવી રહ્યા છે. અને આથી જ જિલ્લામાં ૮.૩૯ લાખથી વધુ પશુના પાલન થકી શ્વેત ક્રાંતિ સર્જવામાં આવી રહી છે. પરંતુ ધ્રાંગધ્રા પંથકના ગામમાં પશુઓમાં લંપી નામના રોગચાળાને કાબુમાં લેવા માટે પશુ ડોકટરોની ટીમ ટૂંકી પડી રહી છે. આટલુ ઓછુ હોય તેમ ચોમાસામાં પશુઓમાં રોગચાળો વધુ ફેલાતો હોય છે, ત્યારે આવી સ્થીતિમાં જિલ્લામાં આટલા મોટા પશુધનની સારવાર માટે માત્ર ૧૧ પશુ ડોકટરો કામ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી છે.

